શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (09:02 IST)

કોરોના મહામારીમાં MBBSના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે તબીબી સેવાના પાઠ

કોરોના મહામારીના કપરાકાળમાં મેડીકલ શાખાના અનેક વિદ્યાર્થીઓ નૈતિક ફરજ સમજી સામાજિક જવાબદારી વહન કરવા માટે આગળ આવ્યા છે. રાજકોટની પી ડી. યુ. મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ. ના ત્રીજા વર્ષમાં અભ્યાસ વિદ્યાર્થીઓ આ સંકટના સમયમાં કોવિડ સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ વિપરિત પરિસ્થિતિમાં વ્યાવસાયિક મૂલ્યોને જાળવી તેઓ તબીબી સેવાના વિશિષ્ટ પાઠ શીખી રહ્યા છે.
 
રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલમા કોવિડ સહાયક તરીકે સેવારત અને એમ.બી.બી.એસ. ત્રીજા વર્ષમાં  અભ્યાસ કરતી વિદ્યાર્થી નિસર્ગ ધામેચા કહે છે કે, એક દિવસ અમારી કોલેજમાંથી વોલન્ટરી સેવા માટે ફોન ઘંટડી રણકી. કોવિડ સહાયક તરીકે ફરજમાં જોડાવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો. પણ મનમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા, કેવી રીતે કામ કરીશું ? અમારી પાસે કામ કરવાનો કોઈ અનુભવ તો નથી. કઈ રીતે મદદરૂપ બની શકીશું ? 
 
સાથે જ એક સુરક્ષિત વાતાવરણ છોડીને જોખમી સ્થિતિમાં શા માટે જવું એવો થોડો ડર પણ હતો. બીજી તરફ ઓગસ્ટ માસમાંકોરોના સંક્રિમત કેસની સંખ્યા વધવાના સંજોગોમાં એક મેડીકલ શાખાની વિદ્યાર્થીની નૈતિક અને સામાજિક જવાબદારીને લક્ષમાં રાખીને, જો કોઈને જીવ બચાવવામાં થોડા પણ મદદરૂપ થઈ શકીએ, તેનાથી ઉત્તમ શું હોઇ શકે, તેવા વિચાર સાથે આ સેવામાં જોડાયા હતા.
 
તેઓ આગળ કહે છે કે, કોવિડ સહાયક તરીકે જોડાયા બાદ અમને યોગ્ય તાલીમ આપવાની સાથે કોવિડ વોર્ડમાં અથવા અન્ય કોઇ વોર્ડમાં સહાયક તરીકે સેવા કરવાની છૂટ આપવામાં આવી હતી. ઉપરાંત અમારા પરિવારજનો સંક્રમણથી સુરક્ષિત રહી શકે તે માટે અલગ હોટલમાં રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. 
 
કોવિડ વોર્ડમા વિપરીત પરિસ્થિતમાં પણ કેવી રીતે શાંતીથી અને ઝડપથી કામ કરવું, તેમજ કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરતી વખતે હળવાશ કેમ અનુભવવી વગેરે હું અહીં શીખી છું. આ સમય દરમિયાન અનેક દર્દીઓના આશીર્વાદ પ્રાપ્ત થયા છે, તેનો આનંદ વ્યક્ત કરતા તબીબી સેવાના અનેક નવા પાઠ પણ આ મહામારીમાં શીખવા મળ્યા છે. 
 
નિસર્ગ ધામેચાએ આનંદસભર સ્વરે કહયું હતું કે, નવુ શીખવાની સાથે કપરી પરિસ્થિતિમાં કોલેજના ડીપાર્ટમેન્ટને મદદરૂપ થઈ શક્યાનો, અમારી સેવાની યોગ્ય સરાહના થવાનો અને આ માટે અમને મળેલા પ્રોત્સાહનનો અમને ખૂબ આનંદ છે. તેમજ આ સંકટના સમયે સેવા કરવાનો આત્મસંતોષ પણ છે, જે અમને જીવનભર યાદ રહેશે.