1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (22:19 IST)

LIVE દૃશ્યોઃ સુરતમાં જર્જરીત થયેલું મજૂરા ગેટ ફાયર સ્ટેશન તોડી પડાયું, ત્રણ માળનું બિલ્ડીંગ આખે આખું સીધું જ બેસાડી દીધું

બિલ્ડીંગ છેલ્લા બે વર્ષથી ખાલી જ હતું

સુરત શહેરના મજૂરા ગેટ ફાયર સ્ટેશનનું ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. ગ્રાઉન્ડ સાથે ત્રણ માળનું બિલ્ડીંગ છેલ્લા ઘણા સમયથી જર્જરીત થઈ ગયું હતું. જેમાં છેલ્લા બે વર્ષથી ખાલી હતું અને ડિમોલીશનની ચર્ચાઓ ચાલતી હતી. જેથી આજે ફાયર વિભાગ દ્વારા બિલ્ડીંગ ઉતારી પાડવામાં આવ્યું હતું.

વાહનવ્યવહાર પણ રાબેતા મુજબ રાખ્યો
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે, જર્જરીત થયેલા બિલ્ડીંગને લઈને ડિમોલીશન કરવામાં આવ્યું હતું. જેના માટે પહેલા બિલ્ડીંગના પીલરોને નબળાં કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પાલિકાએ બિલ્ડીંગ ઉતારી પાડ્યું હતું. જેમાં ફાયર વિભાગ દ્વારા તમામ સાવચેતી રાખવામાં આવી હતી. બિલ્ડીંગ નજીકના રોજનો વાહનવ્યવહાર પણ રાબેતા મુજબ રાખવામાં આવ્યો હતો.
ફોક્લેન મશીનની મદદથી કામગીરી કરાઈ
મજૂરા ગેટના ઈન્ચાર્જ ફાયર ઓફિસર નિલેશ દવેએ જણાવ્યું હતું કે, આ ફોકલેન મશીનની મદદથી સૌ પ્રથમ પીલરને વાઈબ્રેટ કરીને નબળા કરી દેવામાં આવ્યાં હતાં. આ મશીનની ટેક્નોલોજીની મદદથી સીધું જ બિલ્ડીંગ નીચે બેસાડી દેવામાં આવ્યું હતું. એક પણ કાંકરી પણ ન ઉડે તે રીતે આ ફાયર સ્ટેશનને બેસાડી દેવામાં આવ્યું હતું. મહત્વની બાબત એ છે કે, બિલ્ડીંગને ધરાશાયી કરાયું ત્યારે માત્ર એક તરફનો જ રોડ બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફનો વાહનવ્યવહાર પણ ચાલું જ રહ્યો હતો.