શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 5 જૂન 2021 (20:41 IST)

95 ટકાથી વધુ હેલ્થકેર વર્કર્સ કોવિડ-19ની રસી લેવાની ઈચ્છા ધરાવે છે: રિસર્ચ

95 ટકાથી વધુ હેલ્થકેર વર્કર્સ કોવિડ-19ની રસી લેવાની ઈચ્છા ધરાવે છે તેવું ભારત સહિત 6 દેશોના અભ્યાસમાં જાણવા મળ્યું છે. આ અભ્યાસના તારણો મે-2021માં પ્રતિષ્ઠીત ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઇન્ફેકશીયસ ડિસિઝમાં પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે.
 
આ અભ્યાસનું સંચાલન હેલ્થકેર વર્કર્સ કોવિડ-19ની રસી લેવાની કેટલી ઈચ્છા ધરાવે છે તેના મૂલ્યાંકન માટે હાથ ધરવામાં આવ્યું હતું. સામાન્ય જનતામાં જ્યારે રસી લેવા અંગે ખચકાટ અનુભવાય છે ત્યારે આ અભ્યાસના તારણો મહત્વના બની રહે છે.
 
એશિયા પેસિફીક ક્ષેત્રના 6 દેશોના 1720 હેલ્થકેર વર્કર્સ કે જેમાં વિયેતનામ 472, ઈન્ડોનેશિયા 430, ભારત 406, ચીન 303, સિંગાપોર 161 અને ભૂતાનના 47 હેલ્થકેર વર્કર્સ આ અભ્યાસમાં સામેલ થયા હતા અને રસી લેવાની તેમની ઈચ્છા અંગે માહિતી એકત્ર કરવામાં આવી હતી. આ અભ્યાસનો હેતુ કોવિડ-19 અંગે દ્રષ્ટિકોણ, વેક્સીન અંગેની ચિંતા, માન્યતા અને હેલ્થકેર ઓથોરિટીમાં વિશ્વાસ જેવી બાબતો જાણવાનો સમાવેશ કરાયો હતો.
 
આ અભ્યાસ નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરના પ્રોફેસર વિજય શર્મા, ઝાયડસ હોસ્પિટલ અમદાવાદના ડો. અરવિંદ શર્મા અને ડો. કલ્પેશ તલાટી, યશોદા હોસ્પિટલ હૈદ્રાબાદના ડો. કોમલ કુમાર આર એન અને સેંથીલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ઈરોડના ડો. મિનાક્ષી પીવીએ હાથ ધર્યો હતો.
 
આ અભ્યાસના તારણો અંગે ડો. અરવિંદ શર્મા જણાવે છે કે “સર્વેક્ષણ હેઠળ આવરી લેવાયેલા 95 ટકાથી વધુ હેલ્થકેર વર્કર્સ રસી લેવાની ઈચ્છા ધરાવે છે. પ્રતિભાવ આપનાર લોકો મહામારીને ગંભીર  ગણીને રસીને સલામત માને છે અને ખર્ચ અંગે ચિંતા ધરાવતા નથી. રસીને દોષ દેવાનું વલણ ધરાવતા નથી અને હેલ્થ ઓથોરિટીમાં વિશ્વાસ ધરાવે છે.”
 
ભારત સહિતના ઘણાં દેશોએ હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકો તથા તે પછી સમગ્ર પુખ્તવયની વ્યક્તિ માટે રસીકરણ ખૂલ્લું મૂક્યું છે. ભારતમાં 21 કરોડથી વધુ રસીના ડોઝ અપાઈ ચૂક્યા છે, જેમાં હેલ્થકેર વર્કર્સના મોટા સમુદાયનો સમાવેશ થાય છે.
 
ઝાયડસ હોસ્પિટલના ફિઝિશ્યન ડો. કલ્પેશ તલાટી જણાવે છે કે “આ અભ્યાસના તારણોથી ખાત્રી થઈ છે કે 95 ટકાથી વધુ હેલ્થકેર વર્કર્સ કોઈપણ ભૌગોલિક સ્થળે કામ કરતા હોય તો પણ રસી લેવાની ઈચ્છા ધરાવે છે. અભ્યાસમાં સામેલ થનાર માત્ર 3.8 ટકા લોકોએ રસી લેવાની ઈચ્છા ધરાવી ન હતી. મહત્વની બાબત એ છે કે અભ્યાસમાં સામેલ થનારા લગભગ તમામ લોકોએ રસીને સલામત અને અસરકારક માની છે.”
 
આ અભ્યાસથી એવો પણ નિર્દેશ મળે છે કે જે લોકો રસી લેવાની ઈચ્છા ધરાવે છે તે લોકો બાળકો અને આશ્રિતો ધરાવે છે. જે લોકો રસી લેવાની ઈચ્છા ધરાવતા નથી (48.3 ટકા વિરૂધ્ધ 35.4 ટકા) એ લોકો નિયમિતપણે શારીરિક પ્રવૃત્તિમાં જોડાયેલા છે.
 
અભ્યાસમાં સામેલ થયેલા લોકોમાં અગાઉ હાર્ટ ફેઈલ્યોર અને અસ્થમા જેવી ફિઝીકલ કો-મોર્બિલીટી સ્થિતિ પ્રવર્તતી હતી તે લોકો રસી લેવાની ઈચ્છા ધરાવતા ન હતા.
 
એવું માનવામાં આવે છે કે રસી લેવામાં ઓછુ જોખમ છે અને સમાજ વચ્ચે રહેવાની ઈચ્છાના કારણે પણ હેલ્થકેર વર્કર્સ રસી લેવાની ઈચ્છા ધરાવે છે. ડો.વિજય કે. શર્માએ વધુમાં જણાવ્યું હતું કે “આ અભ્યાસના તારણોથી અન્ય દેશોમાં રસીકરણની વ્યૂહરચના ઘડી કાઢી શકાશે.”
 
આ અભ્યાસમાં જે હેલ્થકેર વર્કર્સે ભાગ લીધો હતો તેમાં ફિઝીશ્યન્સ, નર્સો સંબંધિત હેલ્થકેર પ્રોવાઈડર્સ, મેડિકલના વિદ્યાર્થીઓ, ટેકનિશ્યનો, મહત્વના સ્ટાફ અને વહિવટી સ્ટાફનો સમાવેશ થાય છે.