1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 એપ્રિલ 2017 (12:11 IST)

અમિત જેઠવા કેસમાં સીબીઆઈ ફરીથી ટ્રાયલ ચલાવવાની તરફેણમાં ના હોવાની તપાસ એજન્સીની સ્પષ્ટતા

જાણીતા આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠ‌વા હત્યાકાંડમાં 195 પૈકી 105 સાક્ષીઓ હોસ્ટાઇલ થઇ જતાં સમગ્ર કેસની સુનાવણી ફરી કરવાની દાદ માગતી પિટિશનમાં સીબીઆઇએ હાઇકોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી છે કે, આ કેસની સુનાવણી ફરીથી કરવાની આવશ્યકતા નથી. જો કે સીબીઆઇએ નજરે જોનાર 8 સાક્ષીઓની પુન: ઊલટ તપાસ માટે બોલાવવાની રજૂઆત ગ્રાહ્ય રાખવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી.

આ કેસની વિગત એવી છે કે, અમિત જેઠવા હત્યાકેસમાં નજરે જોનાર 4 સાક્ષીઓએ તેમને ધમકી મળી હોવાની ફરિયાદ કરી હતી. જે બાબતે કોર્ટના આદેશ બાદ પણ કોઇ તપાસ થઇ ન હતી. માત્ર એક કે બે સાક્ષીઓને રક્ષણ આપવામાં આવ્યું હતું. હાઇકોર્ટ પાસે આ સમગ્ર કેસમાં પુન: ટ્રાયલની વિશાળ સત્તા રહેલી છે. બીજી તરફ સીબીઆઇ તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસમાં પુન: ટ્રાયલ કરવી આવશ્યક નથી. માત્ર 8 નજરે જોનાર સાક્ષીઓને પુન: જુબાની માટે  બોલાવી શકાય. સાક્ષીઓને મળેલી ધમકી અનુસાર તેમને યોગ્ય તપાસ કરવા માટે સીબીઆઇએ ગુજરાત ડીજીપીને જણાવ્યું હતું. જો કે સીબીઆઇએ તે દિશામાં કોઇ પગલા લીધા ન હતા. બીજી તરફ આરોપી તરફે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, હાલ આ કેસની ટ્રાયલ પૂર્ણ થવાને તબક્કે છે. તેથી ટ્રાયલ પૂર્ણ થવા દેવી જોઇએ. તેમજ ચુકાદો આવ્યા બાદ તેઓ અપીલ કરી શકે છે. આ સમગ્ર રાજકીય લડાઇ છે. તેમને મતદાન દ્વારા હરાવી નહીં શકાતા આ રીતે તેમને ખોટી રીતે કેસમાં સંડોવી દેવાના પ્રયાસો થઇ રહ્યા છે. આ કેસમાં હાઇકોર્ટે 5 સહઆરોપીઓને નોટિસ આપી જવાબ રજૂ કરવા આદેશ કરી કેસની વધુ સુનાવણી આગામી 18મી એપ્રિલ પર મુલતવી રાખી છે. અમિત જેઠ‌વા હત્યાકેસમાં આરોપી પુર્વ એમપી દિનુ બોધા સોલંકીની જામીન રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ છે. જેમાં રજૂઆત થઇ છેકે, આરોપી જામીન પર હોવાથી 105 જેટલા સાક્ષી હોસ્ટાઇલ થયા છે.