શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 ઑગસ્ટ 2017 (14:40 IST)

કોંગ્રેસના ધારાસભ્યોની ગેરહાજરીમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ, સમીકરણો બદલાતા ભાજપમાં સોપો પડ્યો

ગુજરાતની રાજ્યસભાની ત્રણ સીટ માટે ચાલી રહેલા મતદાનમાં ભારે રસાકસી જોવા મળી રહી છે, ત્યારે વિધાનસભાના ચોમાસું સત્રની પણ શરૂઆત થઇ ચૂકી છે. જેમાં કોંગ્રેસના તમામ ધારાસભ્ય ગેરહાજર રહ્યાં છે. મહાત્મા મંદિર ખાતે મળેલ બે દિવસીય સત્ર તોફાની બની રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. મંગળવારે સ્વર્ણિમ સંકુલમાં રાજ્યસભાની ચૂંટણીની સાથે મહાત્મા મંદિર ખાતે વિધાનસભાનું બે દિવસીય ટૂંકુ ચોમાસુ સત્ર મળ્યું છે. રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવારો ઊભા રાખ્યા બાદ સર્જાયેલી હોર્સ ટ્રેડિંગ અને કોંગ્રેસી ધારાસભ્યોની છાવણીના પગલે વાતાવરણ તંગ છે. તેના પડઘાં વિધાનસભા સત્ર ઉપર પડવાની ભીતિથી મહાત્મા મંદિરમાં ચુસ્ત પોલીસ પહેરો ગોઠવી દેવાયો છે.

વિધાનસભાનું સત્ર પ્રથમવાર વિધાનસભા સંકુલની બહાર યોજાયું છે. કોંગ્રેસ પોતાના સભ્યો પર દબાણ અને રાહુલ ગાંધી પર હુમલા સહિતના મુદ્દાઓ ઉઠાવી આક્રમક બનવાના એંધાણ છે. 1200થી વધુ પોલીસ જવાનોને મહાત્મા મંદિરમાં તહેનાત કરાયા છે. મહાત્મા મંદિરની બહાર પણ પોલીસના વાહનો તહેનાત છે. મુલાકાતીઓ, આમજનતા માટે વિધાનસભાની કામગીરી જોવા પર પણ પાબંધી મૂકી દેવાઇ છે. વિધાનસભા સત્રના પ્રથમ દિવસે ભારે વરસાદ, પૂરમાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સત્ર દરમિયાન શહેરી જમીન ટોચ મર્યાદા અધિનિયમ સુધારા વિધેયક, સહકારી મંડળી સુધારા વિધેયક, ખેત જમીન ટોચ મર્યાદા સુધારા વિધેયક અને સિંગલ વિન્ડો ક્લીયરન્સ વિધેયક એમ ચાર બિલ રજૂ થશે.
ગુજરાતમાં ભારે રસાકસી ભરેલી રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની ફેવરમાં મતદાન થતા ભાજપે પોતાના ધારાસભ્યોને મતદાન કરતા અટકાવ્યા છે. એનસીપીના નેતા જયંત પટેલ (બોસ્કી)એ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરતા તમામ સમીકરણો બદલાતા બીજેપીમાં સોંપો પડી ગયો છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં સોનિયા ગાંધીના નિકટતમ ગણાતા અહમદ પટેલનો પરાજય નિશ્ચિત હોવાના સંદેશા વચ્ચે કિંગમેકરની ભૂમિકા ભજવી રહેલા એનસીપીના બે ધારાસભ્યો પૈકી એક જયંત બોસ્કીએ કોંગ્રેસને ટેકો જાહેર કરતા કોંગ્રેસને આંશિક રાત મળી છે. અહેમદ પટેલ હારે છે તેવી વહેતી વાતો વચ્ચે એકાએક સમીકરણો બદલાતા બીજેપીમાં સોંપો પડી ગયો છે અને નવી રણનીતિ ઘડવા માટે મતદાન અટકાવી પોતાના તમામ ધારાસભ્યોને ઓફિસમાં બોલાવી કેટલા ધારસભ્યોના મતદાન થયા છે અને હજુ કેટલા ધારાસભ્યોના બાકી છે તેની ગણતરી કરી આગળનો વ્યૂહ ઘડવા માટે બોલાવ્યા છે.