મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 ડિસેમ્બર 2017 (12:51 IST)

અમદાવાદમાં ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણમાં ઝાડા-ઊલટી, કમળો અને ટાઇફોઈડના દર્દીઓમાં વધારો

શહેરમાં ઠંડી-ગરમી મિશ્રિત વાતાવરણમાં પાણીજન્ય રોગચાળાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૩ દિવસમાં ઝાડા-ઊલટીના ૪૭૩ કેસો, કમળાના ૧૭૪ કેસો, ટાઇફોઈડના ૧૪૩ કેસો, સાદા મેલેરિયાના ૮૦ કેસો, ઝેરી મેલેરિયાના ૩૯ અને ડેન્ગ્યુના ૩૭ તથા ચિકન ગુનિયાના ત્રણ કેસો નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં શીતલહેર જોવા મળી રહી છે. સામાન્ય સંજોગોમાં ઠંડી વધે તેવા સંજોગોમાં પાણીજન્ય રોગચાળો કાબૂમાં આવી જતો હોય છે પણ અમદાવાદ મ્યુનિ.ના હેલ્થ ખાતાની બેદરકારીને લીધે શહેરમાં પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે.

શહેરમાં ૧થી ૨૩ ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ઝાડાઉલટીના ૪૭૩, કમળાના ૧૭૪ અને ટાઇફોઈડના ૧૪૩ કેસ નોંધાયા છે. જ્યારે આઉટડોર ટ્રીટમેન્ટ લેનારા દર્દીઓની સંખ્યા તો ત્રણગણી માનવામાં આવે છે. આ સમયગાળામાં સાદા મેલેરિયાના ૮૦, ઝેરી મેલેરિયાના ૩૯, ડેન્ગ્યુના ૩૭ અને ચીકનગુનિયાના ૩ કેસ હોસ્પિટલમાં દાખલ થયા છે. શહેરમાં છેલ્લા બે મહિનાથી પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. પહેલાં ઠંડી વધતાની સાથે પાણીજન્ય રોગચાળો કાબૂમાં આવી જતો હતો પણ હવે ઠંડી વધી રહી છે છતાં પણ પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. ખાસ કરીને પૂર્વ અને કોટ વિસ્તારમાં ઝાડાઉલટીના કેસો વધી રહ્યા છે. સૂત્રો એવું કહે છે કે, શહેરમાં મેટ્રો સહિત મોટા પ્રોજેક્ટોની કામગીરી ચાલી રહી છે જેથી છાશવાર પાણીની લાઈનોમાં ભંગાણ પડે છે જેથી પૂર્વ અને પશ્ર્ચિમના કેટલાક વિસ્તારોમાં પ્રદુષિત પાણીની સમસ્યા વકરી છે જેથી પ્રદુષિત પાણીની સમસ્યાને લીધે શિયાળામાં પણ પાણીજન્ય રોગચાળો દેખાઈ રહ્યો છે.