શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 મે 2018 (14:34 IST)

મગફળી કાંડ- 145 અધિકારીઓની બદલી, માટીની તપાસ જૂનાગઢ કૃષિ યુનિને સોપાઈ

સૌરાષ્ટ્રના મુખ્ય રોકડિયા પાક મગફળીથી ખેડૂતોને તો પસ્તાવાનો પાર નથી પણ ચૂંટણીલક્ષી નિર્ણય હવે રૂપાણી સરકારને ભારે પડી રહ્યો છે અને ભારે પડશે. ખરીફ સિઝનમાં રેકોર્ડબ્રેક વાવેતર બાદ ઓછા મળતા ભાવને પગલે સૌરાષ્ટ્રના ખેડૂતોને રાજી રાખવા માટે રૂપાણી સરકારે એકાએક મગફળીની ખરીદી કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષ 2017-18માં 2.26 લાખ ટન ખરીદાયેલી મગફળીનો 1.02 લાખ  ટનનો ન વેચાયેલો સ્ટોક પડ્યો હોવા છતાં સરકારે નાફેડને અવગણીને 3 લાખ ટનનો લક્ષ્યાંક મૂકી બાદમાં ચૂંટણીલક્ષી વચનોમાં આખર સુધી 8.33 લાખ ટન મગફળીની ખરીદી કરી લીધી છે. નાફેડે બે વાર તો ગોડાઉનનો અને બારદાનો ન હોવાથી ખરીદી અટકાવી હોવા છતાં સામી ચૂંટણીએ રૂપાણી સરકાર કોઈ પ્રકારનું રિસ્ક લેવા માગતી ન હોવાથી છેક માર્ચ મધ્ય સુધી મગફળીની ખરીદી ચાલુ રાખી હતી. રૂપાણી સરકાર ચૂંટણીમાં એ ભૂલી ગઈ કે મગફળીની વપરાશ ફક્ત સીંગદાણા અને સીંગતેલમાં જ થાય છે અને હવે સરકાર ભરાઈ ગઈ છે. મગફલીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં સરકાર ભરાઈ ગઈ છે. જેને પગલે સરકારે આ કેસમાં ફૂડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટના  145 અધિકારીઓની સામૂહિક બદલી કરી નાખી છે. સરકાર હવે એક્શન મોડમાં હોવાનું સાબિત કરવા માગે છે. મગફળીમાં માટી હોવાની આશંકાને પગલે સરકારે જૂનાગઢ કૃષિ યુનિ.ના બે અધિકારીઓને આ અંગે તપાસ કરી રિપોર્ટ સોપવા માટે આદેશ કર્યો છે. જેને પગલે હવે સરકાર આ પ્રકરણમાં વધુ ભરાય તે પૂર્વે કાર્યવાહીના આદેશ કરી બારોબાર છટકી જવા માગે છે. ગુજરાતમાં આ વર્ષે મગફળીનું 16 લાખ હેકટરથી વધુમાં વાવેતર થતાં સરકારના અંદાજ અનુસાર આ વર્ષે ઉત્પાદન 30થી 32 લાખ ટન આસપાસ રહેવાના અંદાજ છે. આ સ્થિતિમાં ખેડૂતોને ભાવ મળે તેવી કોઈ સ્થિતિ ન હતી. છેલ્લાં બે વર્ષથી ખેડૂતો એ મગફળીના ભાવની બુમરાણ પાડતાં સરકારે મગફળીના ખેડૂતોને રાજી કરવા માટે ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્રનો સૌથી મોટો રોકડિયો પાક એ મગફળી છે. સરકારે આ વર્ષે ટેકાના ભાવમાં પણ વધારો કરતાં ખેડૂતોએ વાવેતરમાં વધારો કર્યો હતો. ટેકાના ભાવે ખરીદી એ રાજ્ય સરકાર નહીં પણ નાફેડ કરતી હોય છે. નાફેડે શરૂઆતના તબક્કામાં 3 લાખ ટન આસપાસ મગફળીની ખરીદી કરવાનો લક્ષ્યાંક નક્કી કરી બારદાન અને ગોડાઉનની વ્યવસ્થા કરી હતી. કારણ કે નાફેડે વર્ષ 2017-18માં 2.26 લાખ ટન ખરીદાયેલી મગફળીમાંથી પણ 1.02 લાખ ટન મગફળીનો સ્ટોક હોવાથી નાફેડે ચૂંટણીને ધ્યાને લઇને પણ ખરીદીનો લક્ષ્યાંક વધાર્યો હતો. રૂપાણી સરકારે શરૂઆતમાં 4.50 લાખનો નવો લક્ષ્યાંક મૂક્યો જ ત્યારે નાફેડ માટે આ પરિસ્થિતિ અઘરી હોવા છતાં પણ ધરાર નાફેડે આ ખરીદી કરી હતી. હવે આ ખરીદી સરકારને ભારે પડી રહી છે.