શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 જુલાઈ 2019 (17:39 IST)

રાજકોટ ખાતે બંધાનારા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટથી સૌરાષ્ટ્રના ઉદ્યોગ બંદરીય પ્રવૃત્તિને વેગ મળશે: ભુપેન્દ્રસિંહ ચુડાસમા

રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે બંધાનારા આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટથી સૌરાષ્ટ્ર વિસ્તારના ઉદ્યોગ અને બંદરીય પ્રવૃતિને વેગ મળશે. રાજકોટ ખાતે સી-પ્રકારના આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટને કારણે રાજકોટના ઇજનેરી ઉદ્યોગ, જામનગરના બ્રાસ ઉદ્યોગ, જેતપુરના ટેક્સટાઇલ ઉદ્યોગ અને મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના વેરાવળ, ઓખા, મુન્દ્રા, બેડી, અને પોરબંદર જેવા બંદરોના વિકાસને વેગ મળશે.
 
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માહિતી આપી હતી કે, રાજ્ય સરકાર દ્વારા આ એરપોર્ટ બનાવવા માટે કુલ ૯૨૪ હેક્ટર જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવશે.  આ એરપોર્ટ ભારત સરકારના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બિલ્ડ, ઓપરેટ એન્ડ મેઈન્ટેન-BOM હેઠળ કાર્યરત થશે. આ સંદર્ભે ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. હાલમાં એરપોર્ટ ઓથોરિટીને એરપોર્ટ નિર્માણ માટે ૬૮૬ હેકટર જમીન ફાળવવામાં આવી છે અને ઓથોરિટી દ્વારા કામના વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે.