મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 3 ઑગસ્ટ 2019 (15:44 IST)

છઠ્ઠું પગારપંચ મેળવતા 19 હજારથી વધુ કર્મીઓને 12% મોંઘવારી ભથ્થાનો લાભ મળશે

રાજ્ય સરકારે કર્મચારી લક્ષી નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે છઠ્ઠું પગાર પંચ મેળવતાં રાજ્ય સરકારના ઓગણીસ હજારથી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને કુલ 12 % મોંઘવારી ભથ્થાનો લાભ અપાશે. રાજ્ય સરકારનાં અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી કુલ 19,359 કર્મચારીઓને લાભ થશે. રાજ્ય સરકારને વાર્ષિક 41.93 કરોડ વધારાનો ખર્ચ થશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, છઠ્ઠું પગાર પંચ મેળવતાં રાજ્ય સરકારના 19,359 અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને તા. 1-7-2018થી 6% તથા તા. 1-1-2019થી વધુ 6% મળી કુલ 12% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ મોંઘવારી ભથ્થુ ઓગસ્ટ-2019નાં પગાર સાથે ચુકવવામાં આવશે. જેનાથી રાજ્ય સરકાર ઉપર વાર્ષિક રૂ.41.93 કરોડનું વધારાનું ભારણ પડશે. તેમણે ઉમેર્યુ કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સરકારી કર્મચારીઓ માટે અનેકવિધ નિર્ણયો કર્યા છે. જેના ભાગરૂપે આજે ચર્ચા-વિચારણા કરાયા બાદ આ નિર્ણય કરાયો છે.રાજ્ય સરકારનાં 7742 કર્મચારીઓ અને 11617 પેન્શનરો મળી, અંદાજીત કુલ 19359 અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચના લાભો મંજૂર કરેલ છે. જે મુજબ હાલમાં પગાર તથા પેન્શન ચુકવવામાં આવે છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા હાલમાં છઠ્ઠા પગાર પંચનો લાભ અંદાજીત 19 હજાર જેટલા કર્મચારીઓ-અધિકારીઓ આપવામાં આવી રહ્યો છે. ભારત સરકાર દ્વારા તા 1-7-2018થી 6% તથા તા.1-1-2019થી વધુ 6% મોંઘવારી ભથ્થુ મંજૂર કર્યું છે. છઠ્ઠા પગાર પંચ મેળવતાં રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને તેમના પગાર ઉપરાંત અત્યારે 142 % મોંઘવારી ભથ્થુ ચુકવવામાં આવી રહ્યું છે. ભારત સરકારે પણ તા.1-7-2018 થી વધુ 6 % તથા તા.૦1-1-2019 થી વધુ 6% મોંઘવારી ભથ્થુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જાહેર કર્યું છે જે સંદર્ભે છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર/પેન્શન મેળવતાં રાજ્ય સરકારના અધિકારીઓ તથા કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ ચુકવવાનો નિર્ણય કર્યો છે