શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 28 માર્ચ 2020 (18:33 IST)

લોકડાઉનની સ્થિતીમાં હરિદ્વાર–નેપાળ ફસાયેલા ૧૮૦૦ જેટલા ગુજરાતીઓને પરત લાવવાની વ્યવસ્થા કરાઇ

કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં દેશવ્યાપી લોકડાઉનની સ્થિતીમાં આજે ચોથા દિવસે ગુજરાતમાં નાગરિકોને જીવન આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરતી માત્રામાં ઉપલબ્ધ થયો છે. રાજ્ય સરકારના વિભાગો નાગરિકો-પ્રજાવર્ગોને આ લોકડાઉન દરમિયાન કોઇ જ દુવિધા ન પડે તે માટે સતત કાર્યરત છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે રાજ્ય સરકાર દ્વારા આ હેતુસર લેવામાં આવેલા આયોજનબદ્ધ પગલાંઓ અને પુરવઠાની સ્થિતીની વિગતો આપી હતી.
 
હાલની લોકડાઉનની સ્થિતીમાં વાહનવ્યવહાર પણ બંધ છે ત્યારે ગુજરાતના મૂળ રહેવાસી અને નેપાળ, હરિદ્વાર જેવા સ્થળોએ પ્રવાસે ગયેલા અને ત્યાં સ્થગિત થઇ ગયેલા ૧૮૦૦ થી વધુ યાત્રાળુઓને ગુજરાત પરત લાવવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 
 
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેમિકલ ફર્ટિલાઇઝર રાજ્ય મંત્રી મનસુખ માંડવીયા તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીની દરમિયાનગીરીથી આ યાત્રાળુ-મુસાફરોને ૨૮ જેટલી ખાસ બસો મારફત ગુજરાત પરત લાવવામાં આવી રહ્યા છે. સુરત-વડોદરા-રાજકોટ-ભાવનગર-જામનગર-ખેડા અને આણંદ જિલ્લાઓના આ યાત્રાળુ-મુસાફરો રાજ્યની સરહદમાં અરવલ્લી જિલ્લામાં પ્રવેશે ત્યારે તે તમામનું હેલ્થ ચેક અપ કરીને તેમના જમવા તેમજ અન્ય વ્યવસ્થાઓ કરી તે મુસાફરોને પોતાના ગામ-નગર-શહેર પહોચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવશે.
 
તેમણે કહ્યું કે, લોકડાઉનની આ સ્થિતીમાં રાજ્યભરમાં ઊદ્યોગો-કારખાનાઓ બંધ છે ત્યારે તેમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો-કામદારો તથા ગુજરાતના અંતરિયાળ વિસ્તારના આવા કારીગરો તેમના વતન જવા પગે ચાલીને નીકળી પડયા છે. આવા શ્રમિકોને પગે ચાલીને વતન ભણી ન જવા અપિલ પણ કરી છે. વિજય રૂપાણીના ધ્યાને એ બાબત આવી હતી કે શુક્રવારે રાત્રે રાજ્યના જુદા જુદા હાઇ-વે પર આવા આશરે ૧૦ હજારથી વધુ શ્રમિકો પગપાળા જઇ રહ્યા હતા.
 
મુખ્યમંત્રીએ આ શ્રમજીવીઓ પ્રત્યે માનવીય સંવેદના દર્શાવી સંબંધિત જિલ્લાતંત્રને મદદરૂપ થવા તાકીદ કરી અને તેના પરિણામે આ શ્રમિકોને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના અન્ય વનબંધુ જિલ્લાઓમાં વાહનો દ્વારા પહોચાડવાની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. હવે કોઇ જ આવા શ્રમિકો કે કારીગરો પોતાના વતન કે ગામ ન જાય અને હાલની સ્થિતીમાં સુરક્ષિત રહેવા જ્યાં છે ત્યાં જ રહે તેવી અપિલ પણ કરી હતી.
 
રાજ્યમાં આવા શ્રમિકો-કારીગરો અને જરૂરતમંદ વ્યકિતઓ માટે જિલ્લા વહિવટીતંત્ર અને સ્વૈચ્છિક સેવા સંગઠનો ફૂડપેકેટ તૈયાર કરીને તેનું વિતરણ સેવાભાવે કરે છે તેમાં અત્યાર સુધીમાં રાજ્યમાં ર લાખ ૮ર હજાર ફૂડપેકેટ વિતરીત કરવામાં આવ્યા છે. અશ્વિનીકુમારે રાજ્યમાં શાકભાજી, દૂધ વગેરે આવશ્યક ચીજવસ્તુઓ પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે તેની વિગતો આપી હતી.
 
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, શનિવારે રાજ્યમાં રપપ લાખ લીટર દુધની આવક થઇ છે અને ૪ર.૪૦ લાખ લીટર દૂધ પાઉચ વિતરણ થયું છે. ટ્રેટાપેકમાં ૪૦ હજાર લીટર દૂધનું વેચાણ થયું છે. રાજ્યમાં શનિવારે બધી જ એટલે કે ૭ર હોલસેલ શાકમાર્કેટ કાર્યરત રહી છે. શાકભાજીની આવકમાં પણ શુક્રવારની ૮પ હજાર ૧૧૩ કવીન્ટલની આવક સામે ૪પ હજાર કવીન્ટલ વધુ એટલે કે ૧ લાખ ર૯ હજાર ૯૦ કવીન્ટલ શાકભાજી શનિવારે વધારે આવી છે. આ શાકભાજીમાં બટાટા ૩પપ૭૭ કવીન્ટલ, ડુંગળી ૨૪૪૨૦ કવીન્ટલ, ટમેટા ૧૩૭૧૮ કવીન્ટલ અને અન્ય લીલા શાકભાજી પપ૩૭પ કવીન્ટલનો આવરો થયો છે.
 
રાજ્યમાં ફળફળાદિની આવક પણ ૭૦૦ કવીન્ટલ વધી છે. શુક્રવારે ૪૮૩ર કવીન્ટલ ફળો આવેલા જ્યારે શનિવારે ૧૦પ૦ કવીન્ટલ સફરજન, ૮રપ કવીન્ટલ કેળાં અને ૩૭૧૦ કવીન્ટલ અન્ય ફળોની આવક થઇ છે. લોકોને લોકડાઉનના આ સમયમાં આવશ્યક ચીજવસ્તુઓ સરળતાએ મળી રહે તે માટે જે-તે જિલ્લા-તાલુકા અને શહેરીતંત્ર દ્વારા ફેરિયાઓ-છૂટક વેપારીઓને પાસ ઇસ્યૂ કરવામાં આવે છે આવા ૯૬ હજારથી વધુ પાસ સમગ્ર રાજ્યમાં અપાયા છે.