શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 મે 2020 (18:47 IST)

ફર્જ નિભાના ભી હૈ ખુદા કી ઈબાદત: રુખસાનાબેને કોરોનાના દર્દીઓ માટે ફરજ બજાવી કરી ઈદની અનોખી ઉજવણી

મારા માટે તો મારી ફરજ જ મહત્વની છે. મારા દર્દીઓની ઉત્તમોત્તમ સેવા કરીશ તો અલ્લાહ્તાલા જરૂર ખુશ થશે. આ 'દર્દી'નારાયણની સેવાથી વધુ સારી રીતે ઈદની ઉજવણી કઈ રીતે થઇ શકે ! : આ ભાવનાની અભિવ્યક્તિ સાથે કોરોનાના દર્દીઓની સેવામાં લાગેલા છે, જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં કાર્યરત 55 વર્ષિય રુખસાનાબેન. 
 
રુખસાનાબેન સિવિલ હોસ્પિટલ જૂનાગઢમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. આજે મુસ્લિમ બિરાદરોનો પવિત્ર તહેવાર ઈદ હોવા છતાં આ નર્સ બહેને ફરજને પ્રાધાન્ય આપી કોરોના વોર્ડમા ફરજ બજાવી હતી.આ હોસ્પિટલમાં 'મા ડી''ના માનવાચક નામથી ઓળખાતા રુખસાનાબેન આજે રજા રાખી ઈદના પવિત્ર તહેવારની ઉજવણી કરવાના બદલે કોરોના દર્દીઓ સાથે  વ્યસ્ત હતા. ઈદની ઉજવણીના બદલે ફરજ પરસ્તી દાખવી દર્દીઓ સ્વસ્થ થાય સ્વસ્થ રહે તેવી અલ્લાતાલા પાસે દિલથી દુવા માગતા હતા.
 
આ દરમિયાન જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાંથી કોરોનામૂક્ત થયેલા 48 વર્ષના મુકેશભાઈ વઘાસીયા એ હોસ્પિટલને દંડવત પ્રણામ કરી સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી ત્યારે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા. મુંબઈ દહિસરમાં હીરાનો વ્યવસાય ધરાવતા મુકેશભાઈએ કહ્યુ કે, ''કોરોનાથી બિલકુલ ડરવાની જરૂર નથી. ઉત્સાહ અને હિંમતથી કોરોનાનો સામનો કરો 100 ટકા સારૂ થશે જ. આ  સાથે સરકાર અને આરોગ્ય વિભાગ જે ગાઇડલાઇન આપે માર્ગદર્શન આપે તેનુ અવશ્ય પાલન કરવુ. તેમણે સરકારી સિવિલ હોસ્પિટલ જૂનાગઢની સારવાર-સુવિધાને શ્રેષ્ઠ ગણાવી કહ્યુ કે, કોરોનામા અહિં ખાનગી હોસ્પિટલને ટકકર મારે તેવી સારવાર સુવિધા ઉપલબ્ધ છે.''
 
કોરોનામા સતત ફરજ બજાવતા ડોક્ટરો સાથે પેરામેડીકલ સ્ટાફની પણ મહત્વની ભૂમિકા હોય છે. તેમાય નર્સીંગ સ્ટાફની વિશેષ જવાબદારી અને ફરજ હોય છે ત્યારે નર્સ બહેનોની કસોટી થતી હોય છે. પરંતુ વર્ષોથી દર્દીઓ સાથે સેવારત આ બહેનો પોતાનાં માયાળુ સ્વભાવથી તમામ ચેલેન્જ ને સ્વીકારી કોરોના વૉરિયર પુરવાર થાય છે.