ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 એપ્રિલ 2021 (14:07 IST)

સુરતમાં 18 કલાક ચાલે એટલો જ ઓક્સિજન, 225 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર સામે માત્ર 150 મેટ્રિક ટન મળ્યો

કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ જીવનરક્ષક એવા ઓક્સિજનની ભારે અછત ઊભી થતાં દર્દીનાં સગાંમાં અફરાતફરીનો માહોલ પેદા થયો છે. સરકાર દ્વારા પણ હાલ સુધી ફાળવાતા ઓક્સિજનના જથ્થામાં 50 ટકા જેટલો ઘટાડો કરી દેવામાં આવતાં તંત્ર પણ વિમાસણમાં મુકાઇ ગયું છે. હાલ જરૂરિયાત પ્રમાણે હોસ્પિટલોને પ્રાણવાયુ પૂરો પાડવામાં આવી રહ્યો થવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે, જ્યારે હાલ 225 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર સામે માત્ર 150 મેટ્રિક ટન ઓક્સિજન મળી રહ્યો છે. અને સુરત પાસે માત્ર 12થી 18 કલાક ચાલે એટલો જ ઓક્સિજન છે.

આઇએમએના પ્રમુખ ડો. હિરલ શાહે જણાવ્યું હતું કે અત્યારે સુરત પાસે બારથી અઢાર કલાક ચાલે એટલો જ ઓક્સિજન છે. જો ઓક્સિજનની વ્યવસ્થા ન થાય તો સુરતે ન ધારેલી પરિસ્થિતિ આવીને ઊભી રહી શકે છે. સુરતની ખાનગી હોસ્પિટલોમાં ઓકિસજનનો જથ્થો ખૂટી પડતાં દર્દીઓને દાખલ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. કોરોનાની પહેલી વેવમાં શહેરની મોટી ખાનગી હોસ્પિટલોમાં દૈનિક 20 ટન ઓકિસજન વપરાતો હતો, હવે આ માત્રા વધીને 200 ટન પહોંચી ગઈ છે. જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલના જણાયા મુજબ, સુરત જિલ્લામાં હજીરા, ઝઘડિયા સહિતના વિસ્તારોમાં આવેલા પ્લાન્ટમાંથી સુરત જિલ્લાને ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. છેલ્લા થોડા દિવસથી જામનગર રિલાયન્સમાંથી પણ 3 ટેન્કર જેટલો ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં આવેલા પ્લાન્ટમાંથી પણ ઓક્સિજન સુરતને પહોંચાડવામાં આવતો હતો. આ જથ્થામાંથી સિવિલ સ્મિમેર ઉપરાંત ખાનગી હોસ્પિટલો તેમજ નવસારી, ડાંગ, નંદુરબાર સુધીની કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો પહોંચાડવામાં આવતો હતો.