શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 મે 2022 (16:22 IST)

અમદાવાદ જિલ્લામાં ૭૫ તળાવ બનાવવાનું આયોજન, ૭.૫૦ લાખ ક્યુબિક મીટર જળ સંગ્રહ શક્તિની ક્ષમતા વધશે

lake in ahmedabad
આઝાદી ના ૭૫ વર્ષ  ૨૦૨૨ માં પુરા થ‌ઈ રહ્યા છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૨ થી ર૦૨૩ સુધી સમગ્ર વર્ષ અમ્રત મહોત્સવની ઉજવણી કરવાનુ આયોજન કરેલ છે. જેના ભાગ રૂપે દેશના દરેક જીલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવા કરેલા સૂચન અન્વયે અમદાવાદ જિલ્લામાં અમૃત સરોવર યોજના અંતર્ગત ૭૫ તળાવ બનાવવાનું આયોજન છે. દરેક તળાવમાં ઓછામાં ઓછી ૧૦ હજાર કયુબિક મીટર સંગ્રહ ક્ષમતા મુજબ સમગ્ર જિલ્લામાં અંદાજે ૭.૫૦ લાખ ક્યુબિક મીટર જળ સંગ્રહ શક્તિની ક્ષમતા વધશે. હાલ જિલ્લામાં કેસરડી, દહેગામડા, ખાનપુર તથા રૂપાવટી સહિત લગભગ ૩૩ તળાવનું કામ પ્રગતિમાં છે. ટુક સમયમાં કુલ ૭૫ જેટલા સરોવરના કામો શરૂ થશે.  અમદાવાદ જિલ્લામાં આ કામગીરીને વેગવાન બનાવાઈ છે. તેનાથી જિલ્લામાં ભુગર્ભ જળના તળ ઉંચા આવશે.  
 
જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ આ અંગેની વિગત આપતા જણાવ્યું છે કે,  ૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ પંચયતી રાજ દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં દેશમાં ૫૦,૦૦૦ હજાર અમૃત સરોવર બનાવવાનું સૂચન કર્યું હતું. તેના ભાગરૂપે  ગુજરાત રાજ્યના  દરેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવાનું આયોજન છે. અમદાવાદ જિલ્લામાં ઓગષ્ટ’૨૦૨૩ સુધીમાં ૭૫ તળાવ પુર્ણ કરવાનું આયોજન છે.  
 
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રત્યેક તળાવ ઓછામાં ઓછા ૧ એકરમાં બનશે અને  અંદાજે ૧૦ હજાર ક્યુબિક મીટર જળ સંગ્રહ શક્તિ ધરાવતા પ્રત્યેક તળાવના પગલે ભુગર્ભ જળ ઉંચા આવશે. 
 
આ કામગીરી સાથે સંકળાયેલા કાર્યપાલક ઈજનેર એમ.સી.મકવાણાએ જણાવ્યું હતું કે, અધ્યતન ટેકનોલોજીના ઉપયોગથી બનનારા દરેક તળાવ સ્થળે ધ્વજવંદન માટે સાઈટ બનાવાશે. તળાવ નિર્માણના દરેક કામમાં લોકભાગીદારીનો સહયોગ લેવામાં આવનાર છે. આ યોજના અંતર્ગત તળાવ વિસ્તારનો વિકાસ, કેચમેન્ટ એરીયામાં પ્લાન્ટેશન અને જળ સંચયના કામો, ઈનલેટ –આઉટલેટ સ્ટ્રક્ચરનો વિકાસ, સરોવરની આસપાસ પ્લાન્ટેશન જેવા બહુ આયામી પાસાઓને આવરી લેવાનું આયોજન પણ છે. 
 
ગ્રામ વિકાસ, જળ મંત્રાળય, સાંસ્કૃતિક વિભાગ, પંચાયત વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, ક્લાયમેટ ચેન્જ વિભાગ તથા બાયસેગ એમ વિવિધ વિભાગોને આવરી લેતી આ યોજનામાં સ્પેસ ટેકનોલોજી, ગીઓ-સ્પેશ્યલ ટેકનોલોજી, ૩ ડી- ફોટોગ્રામેટ્રી, ઈ ન્ફોર્મેશન ટેકનોલોજી-વેબ ટેકનોલોજી, મોબાઈલ એપ, આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ એમ બહુધા ટેકનોલોજીનો ઉપયોગ થનાર છે. 
 
આ માટેની દેખરેખ માટે પંચાયત પ્રતિનિધી અને પંચાયતના સ્થાનિક અધિકારીની નિમણૂક કરશે. સ્વાતંત્ર્ય સેનાની અથવા તેના પરિવાર,  શહીદના પરિવાર, પદમથી સન્માનિત વ્યક્તિના હસ્તે ભુમિ પૂજન કરાશે.  તેમાં લીમડો, પીપળૉ કે ઘટાદાર વ્રુક્ષો વાવઈને તેની સૂંદરતામાં વધારો કરાશે.  તેના દ્વારા રોજગાર અને આવકના સ્ત્રોત પણ ઉભા કરાશે. જિલ્લામાં આ યોજના દ્વારા વધારાનું ૭,૫૦,૦૦૦ ક્યુબિક મીટર કરતા વધુ જળ સંગ્રહ ક્ષમતા વધારવાનું આયોજન છે.