શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (11:38 IST)

વેબ સિરીઝ ‘તાંડવ’ સામે વીરપુરમાં વિરોધ, નિર્માતા-કલાકારોના પૂતળા સગળાવી રોષ વ્યક્ત કર્યો

તાજેતરમાં રિલીઝ થયેલી તાંડવ વેબ સિરીઝ સામે વીરપુરમાં હિન્દુ સંગઠનોના આગેવાનોએ પોલીસ ફરિયાદ નોંધવા પહોંચ્યા હતા. જેમાં કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. સાધુ સમાજે ફિલ્મ નિર્માતા અલી અબ્બાસ ઝફર અને ફિલ્મ કલાકારો સૈફ અલીખાન સહિતના અન્ય 2 કલાકારોના પૂતળા સળગાવ્યા હતા અને તેમના વિરુદ્ધ વીરપુર પોલીસમાં આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આ નિર્માતા અને કલાકારોએ હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચાડી છે અને ધાર્મિક લાગણી દુભાવી હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ આ લોકો સામે કાયદાકીય પગલાં લેવાં માંગ કરી છે.

સેફ અલીખાન અભિનીત વેબ સિરીઝ તાંડવ વિવાદોમાં ઘેરાઈ છે. તાંડવ વેબ સિરીઝ સામે અનેક સ્થળે વિરોધ અને પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે જેતપુરના વીરપુરમાં પણ તાંડવ વિરુદ્ધ વિરોધ કરવામાં આવ્યો છે. પીઠડીયા રામ ટેકરીના ગોપાલદાસ બાપુ તેમજ હિન્દૂ સમર્થકો દ્વારા સિરીઝના કલાકારો અને નિર્માતાના પૂતળા સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ વીરપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ રાજકોટ ગ્રામ્ય એસપી સાહેબને રજૂઆત કરી ફરિયાદ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી છે.આ વેબ સિરીઝમાં હિન્દુ દેવતાના અભદ્ર ફોટાઓ દર્શાવતાં તેમજ સિરીઝ પર ભગવાન શિવનું અપમાન કરીને હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વેબ સિરીઝનો એક સીન વાઈરલ થયો છે. જેમાં કોલેજમાં ચાલતા એક પ્લેમાં મોહમ્મદ ઝીશાન અયુબે ભગવાન શિવની ભૂમિકા ભજવી છે. જો કે, તેને ઘણાં જ મજાકભર્યા અંદાજમાં રજૂ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં તે એકવાર ગાળો આપતો પણ જોવા મળે છે. હિન્દુઓની લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ રામ ટેકરીના મહંતે કર્યો છે. આ સાથે જ તેમણે કાર્યવાહી કરવાની પણ માગ કરી છે.