શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 18 એપ્રિલ 2018 (13:14 IST)

હનુમાન ચાલીસા સાથે તોગડિયાના ઉ૫વાસનો બીજો દિવસ શરૂ : જૂનાગઢ, ખેડા, મહેસાણાના સમર્થકો આવ્યા

રામમંદિર સહિતના મુદ્દાઓ પર પ્રવિણ તોગડીયાના અચોક્કસ મુદતના ઉપવાસનો આજે બીજો દિવસ છે. તેઓ પાલડી વણીકર ભવન બહાર ઉપવાસ પર બેઠા છે. સવારના અરસામાં તેમના ઉપવાસ સ્થળે પાંખી હાજરી જોવા મળી હતી. જોકે આજના દિવસની શરૂઆત હનુમાન ચાલીસાથી કરવામાં આવી. સવારે તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમની તબિયત સ્થિર છે. જૂનાગઢ, ખેડા, મહેસાણાથી તેમના સમર્થકો આવી રહ્યાં છે.

મંગળવારે તેમની સાથે મંચ પર અગ્રણીઓ અને સાધુ સંતો હતા. મહત્વનુ છે કે પોલીસે તોગડિયાને અહી ઉપવાસની મંજૂરી નથી આપી. તેમ છતા તેમણે ઉપવાસ શરૂ કર્યા છે. પોલીસે અહી બંદોબસ્ત પણ ગોઠવ્યો છે. પ્રવિણ તોગડિયાએ આદરેલા ઉ૫વાસ વચ્ચે તેના પુત્ર આકાશ તોગડિયાએ સોશિયલ મિડિયામાં લાગણીશીલ વ્યથા વ્યક્ત કરતા કહ્યું છે કે, મારા પિતાની આ દૂર્દશા જોઇને મને વિચાર આવે છે કે, મારા પિતાજીએ પોતાનો ૫રિવાર, ડોક્ટરી, પોતાની જીવનશૈલીનો એટલે ત્યાગ કર્યો હતો કે, હિન્દુ સમાજની જીવનભર સેવા કરી શકે. ૫રંતુ આજે આ બધુ જોઇને એવુ લાગે છે કે, શું હવે કોઇ પોતાનો ૫રિવાર છોડશે ? હિન્દુ સમાજની સેવા કરવા અને હિન્દુઓ માટે અવાજ ઉઠાવવાની સારી સજા મળી છે ! અત્રે ઉલ્લેખનીય છે કે, કટ્ટર હિન્દુત્વવાદી છા૫ ધરાવતા તોગડિયા અનેક વખત આ મામલે ચર્ચામાં આવી ચૂક્યા છે.