1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 ડિસેમ્બર 2021 (14:34 IST)

વિધાનસભાની તૈયારીઓ પડઘમ શરૂ, એક નિવેદને રાજકારણ ગરમાવી દીધું, સમાજ કહેશે તો રાજકારણમાં જોડાઈશ

રાજકારણમાં નવાજૂનીનો અણસાર, નરેશ પટેલના એક નિવેદને રાજકારણ ગરમાવી દીધું, સમાજ કહેશે તો રાજકારણમાં જોડાઈશ
 
ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓના પડઘમ શરૂ થઇ ગયા છે. ગુજરાતમાં રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ દ્વારા મહત્વનું નિવેદન આપ્યુંછે. ખોડલધામ પ્રમુખ અને લેઉવા પટેલ સમાજના આગેવાન એવા નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો સમાજ મને કહેશે તો હું રાજકારણમાં જરૂર આવીશ. જ્યારે સમાજમાંથી એકસુર નીકળશે તો રાજકારણમાં આવવા સિવાય કોઈ વિકલ્પ નથી. 
 
ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ દ્વારા રાજકારણમાં આવવાના સંકેત આપવામાં આવતા રાજકારણમાં જોરદાર ગરમાવો આવી ગયો છે. 2022ની ચૂંટણી અગાઉનું નરેશ પટેલનું નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. જ્યારે હવે સૌકોઈની નજર નરેશ પટેલના આગામી નિર્ણય પર જોવા મળી રહી છે.
 
સમગ્ર લેઉવા પાટીદાર સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા ખોડલધામના આગામી 21 જાન્યુઆરીના 5 વર્ષ પૂર્ણ થાય છે. એવામાં ખોડલધામ ખાતે આ પાંચ વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણીના ભાગરૂપે પાટોત્સવ યોજાનાર છે. જેની તૈયારીઓ હાલ થઈ રહી છે. ત્યારે આ મામલે આજે એક બેઠક મળી હતી. ત્યારે ખોડલધામ ખાતે યોજાનાર પાટોત્સવ કાર્યક્રમ અંગેની સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી. ખોડલધામ ખાતે યોજાનાર કાર્યક્રમ સફળ જાય તે માટે નરેશ પટેલ  હાલ રાજ્યના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે.
 
તાજેતરમાં જ કોંગ્રેસના અગ્રણી નેતા ભરતસિંહ સોલંકી તેમજ રાજ્યના શ્રમ રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજા પણ ખોડલધામની મુલાકાત કરી હતી. ત્યારબાદ આજે નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો સમાજ મને કહેશે તો મારી પાસે રાજકારણમાં જવા સિવાયનો કોઈ વિકલ્પ નથી. હાલ હું કોઈ નિર્ણય લઈ શકું નહીં. ખોડલધામ પ્રમુખ નરેશ પટેલના અચાનક રાજકારણમાં જવાના સંકેતને પગલે રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
 
રાજ્યના પાટીદાર અનામત આંદોલનમાં અનેક પાટીદાર યુવાનો  પર કેસ થયા હતા. તે દરમિયાન આંદોલન પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આંદોલન પૂર્ણ કરવા માટે કેટલીક સમજૂતી કરી હતી. જેમાં પાટીદાર યુવાનો પર આંદોલન સમયે કરવામાં આવેલ કેસ પરત ખેંચવાની વાત પણ હતી. ત્યારે આ મામલે આજે બેઠક યોજાનાર છે. આ બેઠકમાં નરેશ પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓ હાજર રહેવાના છે. એ અગાઉ નરેશ પટેલના રાજકારણમાં જોડાવવા અંગેના નિર્ણયને લઈને આગામી ચૂંટણીઓના સંદર્ભેમાં  ગરમાવો જોવા મળી રહ્યો છે.