ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 જૂન 2021 (09:18 IST)

માનહાનિ કેસમાં રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટમાં થશે હાજર, મોદી સમાજ વિરૂદ્ધ કરી હતી ટિપ્પણી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિ કેસની સુનાવણી માટે ગુરૂવારે એટલે કે આજે ગુજરાતના પ્રવાસે આવશે. ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરૂદ્ધ આઇપીસી કલમ 499 અને 500 હેઠળ કેસ દાખલ કર્યો હતો. ભાજપના ધારાસભ્યએ રાહુલ ગાંધી વિરૂદ્ધ અરજી દાખલ કરીને કહ્યું હતું કે રાહુલ ગાંધીએ 'તમામ મોદી ચોર છે' કહીને મોદી સમાજનું અપમાન કરી માનહાનિ કરી છે. હવે આ મામને સુનાવણીને લઇને રાહુલ ગાંધી સુરત આવશે. 
 
ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાનું કહેવું છે કે રાહુલ ગાંધી સવારે 9:25 વાગ્યે સુરત એરપોર્ટ પર આવશે. સુરત એરપોર્ટ પરથી 10:30 વાગ્યે રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજરી આપશે. કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. અમિત ચાવડાએ એ પણ કહ્યું કે રાહુલ ગાંધીનો આ રાજકીય પ્રવાસ નથી, પરંતુ તે કોર્ટમાં કેસને લઇને આવી રહ્યા છે. 
 
તમને જણાવી દઇએ કે ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીની ફરિયાદને સ્વિકાર કરતાં ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ બીએચ કાપાડિયાએ રાહુલ ગાંધીને સમન જાહેર કર્યું હતું. સુરત પશ્વિમના ભાજપ ધારાસભ્ય દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો હતો કે તેમના નિવેદનથી મોદી સમાજના લોકોનું અપમાન થયું છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીએ એક ચૂંટણી રેલીને સંબોધિત કરતાં એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે 'નીરવ મોદી, લલિત મોદી, નરેંદ્ર મોદી, બધાની સરનેમ મોદી છે, દરેક ચોરની સરનેમ મોદી કેમ છે?
 
તેમના આ નિવેદન બાદ ભાજપ ધારાસભ્યએ રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવતાં કહ્યું કે તેમણે મોદી જાતિનું અપમાન કર્યું છે. રાહુલ ગાંધીના આ નિવેદન પર ખૂબ વિવાદ થયો હતો.