શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2020 (10:09 IST)

"જે પાર્ટીના વિસ્તાર માટે જુવાની ખપાવી દીધી એ પાર્ટી આજે લોકોના શોષણ કરતા નિર્ણયો લે ત્યારે દુઃખ થાય છે" : શંકરસિંહ વાઘેલા

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ‘બાપુ‘ દ્વારા શુક્રવારે આજના ‘ભારત બંધ‘ ના આહવાનને સમર્થન આપતા લોકોને સોશીયલ મીડિયાના માધ્યમથી વીડિયો સંદેશ આપવામાં આવ્યો છે જેમાં તેઓએ લોકોને પણ ખેડૂતો અને કર્મચારીઓના સમર્થનમાં આ બંધમાં જોડાવવા કહ્યું છે.
 
કેન્દ્રની ભાજપ સરકારે હાલમાં જ સંસદમાં જે કૃષિ અને મજૂર બિલ લાવીને તરકટ કર્યું તેના વિરુદ્ધમાં શંકરસિંહ બાપુ એ કહ્યું છે કે ભાજપ સરકાર ખેડૂત વિરોધી, મજૂર વિરોધી અને દેશ વિરોધી સરકાર છે. સંસદમાં સરકારના તરકટ ને તેઓએ તાનાશાહી ગણાવી વખોડી છે.
 
સરકાર અમેરિકી ઢબે ખેતી ને કંપનીઓના હવાલે સોંપીને ખેડૂતોને ખતમ કરવાનું કામ કરી રહી છે. નવા બિલથી APMC નામ માત્ર રહી જતા અને MSP પણ ખતમ થઈ જશે અને APMC બહાર વેચાણ ને પ્રોત્સાહન મળતા કંપનીઓ ખેડૂતોનું આર્થિક શોષણ કરશે તે અંગે બાપુ એ સરકારને ચેતવ્યા છે. ખેડૂતોને કોર્ટમાં જવાનો હક નહીં રહે અને સરકારનો હસ્તક્ષેપ ન રહેતા શોષણ થશે તે આશંકાથી ખેડૂતો ભયભીત છે.
 
શંકરસિંહ બાપુ એ ગઇકાલે રાજ્યસભામાં પસાર થયેલ મજૂર બિલ પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે સરકારે કંપનીઓને ગમે ત્યારે કર્મચારીઓને નોકરી માંથી છૂટા કરવાની ખુલ્લી છૂટ આપતા લાખો કર્મચારીઓનાં ભવિષ્ય પર તલવાર લટકી રહી છે. દેશમાં બેરોજગારી રેકોર્ડ સ્તરે છે ત્યારે સરકારના આ નિર્ણયથી બેરોજગારી વધશે.
 
આ ખેડૂત વિરોધી અને મજૂર વિરોધી બિલના વિરોધમાં આવતીકાલે વિવિધ સંસ્થાઓ દ્વારા ન્યાયની માંગણી સાથે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે ત્યારે તેમના સમર્થનમાં શંકરસિંહ બાપુ જોડાયા છે અને લોકોને પણ આ બંધમાં જોડાવવા કહ્યું છે.