શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (10:11 IST)

અંબાજી મેળામાં દર્શનાર્થીઓ માટે કરાયું આવું આયોજન, મેનેજમેન્ટ જોઇ તમે પણ બોલી ઉઠશો ક્યા બાત હૈ!!!

ambaji
અંબાજી મેળામાં દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ પ્રકારનું આયોજન કરાયું
 
કરોડો શ્રધ્ધાળુઓના આસ્થાના પરમ કેન્દ્રબિંદુ સમાન યાત્રાધામ અંબાજીમાં 5 મી સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઇગયો છે. ત્યારે મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી મંદિરના વહીવટીહોલમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. બે વર્ષ બાદ યોજાઈ રહેલા અંબાજીના મેળાને લઈ ગુજરાત અને દેશભરના માઇભક્તોમાં અનેરો થનગનાટ અને ઉત્સાહનો માહોલ છે. 
 
ત્યારે ચાલુ સાલે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડવાની ધારણા છે ત્યારે દર્શનાર્થીઓ અને યાત્રિકોની તમામ સુવિધાઓ, સવલતો અને વ્યવસ્થાઓ સચવાય એ માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવાઇ છે જેની જાણકારી આપતાં જિલ્લા કલેકટરએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. 
 
આ પ્રસંગે કલેકટરએ જણાવ્યું કે બે વર્ષ બાદ યોજાઈ રહેલા અંબાજીના મેળાને લઈ દેશભરના માઇભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આ વર્ષે દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એ પ્રકારનું આયોજન અને વ્યવસ્થા બનાસકાંઠા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. યાત્રિકોની દર્શન માટેની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને તમામ દર્શનાર્થીઓ સરળતાથી માં અંબા ના દર્શન કરી શકે એ માટે બસ સ્ટેશનથી દર્શન માર્ગનું નિર્માણ કરાયું છે. 
 
યાત્રિકોના માલસામાન સુરક્ષિત રીતે સચવાય એ માટે લગેજ કેન્દ્રની વ્યવસ્થા ઉભી કરાઇ છે. અંબાજી આવતા રથો સંઘો લાઈન દ્વારા દર્શન માટે પહોંચવા શક્તિગેટથી એન્ટ્રી આપવામાં આવશે. વડીલો, વૃધ્ધો અને દિવ્યાંગજનો માટે દર્શનની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલી ન શકનાર અને અશક્ત યાત્રિકો માટે વ્હીલચેરની સુવિધા રાખવામાં આવી છે. શક્તિ ગેટની પાસેના 7, 8 અને 9 નંબરના ગેટ એક્ઝિટ માટે જ્યારે ગેટ નંબર 6 ઇમરજન્સીમાં ઉપયોગમાં માટે રાખવામાં આવ્યો છે. 
 
મેળા દરમિયાન દર્શનના સમયમાં વધારો કરાયો સામાન્ય દિવસોમાં મંદિર સવારે 6.15 વાગ્યે ખોલવામાં આવતું હોય છે પરંતુ મેળા દરમિયાન યાત્રિકો મોડી રાતે કે વહેલી સવારે અંબાજી આવી પહોંચતા હોય છે આ યાત્રિકો વહેલી સવારે આરતી અને દર્શનનો લ્હાવો લઈ શકે એ માટે મંદિર બ્રહ્મ મુર્હતમાં સવારે 5 કલાકે ખોલવામાં આવશે. આરતીનો સમય સવારે 5.30 કલાક કરવામાં આવ્યો છે. આમ સવારમાં દર્શનનો સમય એક કલાક વહેલો કરાયો છે. 
 
સાંજે સામાન્ય રીતે સમય 4.30 થી સાંજે 7 વાગ્યા સુધી મંદિર બંધ રહેતુ હોય છે એ મેળા દરમિયાનમાં સાંજે-5.30 થી 7 વાગ્યા સુધી જ બંધ રહેશે. આમ સાંજે પણ એક કલાક દર્શનના સમયમાં વધારો કરાયો છે. મંદિર રાત્રે-12.00 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે. 12 પ્રસાદ કેન્દ્રો પર 3,60,000 કિલોગ્રામ પ્રસાદના 42 લાખ પેકેટ તૈયાર કરાયા: સૌ પ્રથમવાર ફરાળી ચીકીના પ્રસાદની વ્યવસ્થા કરાઇ અંબાજી આવતા તમામ યાત્રિકો દર્શનાર્થીઓ મા અંબાનો પ્રસાદ લઈ શકે એ માટે 12 પ્રસાદ કેન્દ્રો પર 3,60,000 કિલોગ્રામ પ્રસાદના 42 લાખ પેકેટ તૈયાર કરાયા છે. 
 
મેળા દરમિયાન ઉપવાસ રાખતા યાત્રિકો માટે આ વખતે સૌ પ્રથમવાર ફરાળી ચીકીના પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના માટે 3 લાખ જેટલા પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. દેશ- વિદેશમાં વસતા લાખો શ્રદ્ધાળુઓ ઘેરબેઠા માં અંબા ના મેળા ના દર્શન કરી શકે એ માટે વેબકાસ્ટિંગ થકી જીવંત પ્રસારણની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ ઉપરાંત ઇન્સ્ટગ્રામ પર મેળાની સતત અપડેટ મળી રહે એ માટેની પણ સગવડ ગોઠવવામાં આવી છે. યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી રહે એ માટે 3 જગ્યાએ વ્યવસ્થા કરાઇ મેળામાં આવતા લાખો યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી રહે એ માટે 3 જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત દિવાળી બા ભવન, ગબ્બર તળેટી અને અંબિકા ભોજનલયમાં વ્યવસ્થા કરવામાં આવી છે. 
 
આરોગ્ય વિભાગ દ્વારા ૩૮ જેટલાં આરોગ્ય સુવિધા કેન્દ્રો કાર્યરત કરાયા મેળા દરમિયાન યાત્રિકો દર્શનાર્થીઓને આરોગ્ય બાબતે પણ વહીવટીતંત્ર દ્વારા ચિંતા કરી મેળા માં આવતા તમામ યાત્રિકોને આરોગ્ય સુવિધાનો લાભ મળે એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા 24 જેટલા સારવાર કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે. અંબાજી તરફના માર્ગો પર 14 જેટલાં કેન્દ્ર મળી કુલ-38 જેટલાં આરોગ્ય સુવિધા કેન્દ્રો જિલ્લાની હદમાં ઉભા કરવામાં આવ્યા છે. 
 
6 સ્પેશિયાલિસ્ટ ડોકટર સહિત 256 જેટલાં આરોગ્ય કર્મીઓ મેળામાં ખડેપગે યાત્રિકોની સુવિધા માટે તૈનાત રહેશે અને 16 એમ્બ્યુલન્સ વાન યાત્રિકોને તાત્કાલિક સારવાર માટે ૨૪ કલાક કાર્યરત રહેશે. મેળા દરમિયાન જો ફૂડ પોઈઝનિંગ જેવી ઇમરજન્સી સર્જાય તો પાલનપુર, હિંમતનગર, વડનગર, અને ધારપુર હોસ્પિટલમાં સ્પે. બેડની સુવિધાઓ પણ તૈયાર રાખવામાં આવી છે. 
 
મેળા માટે એસ.ટી. તંત્રના 4 વિભાગો દ્વારા 700 થી વધુ ટ્રીપનું આયોજન કરાયું અંબાજીના મેળામાં ગુજરાતભરમાંથી યાત્રિકો ઉમટી પડતા હોય છે ત્યારે એસ.ટી. તંત્રના 4 વિભાગો દ્વારા 700 થી વધુ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન યાત્રિકોની પાણીની જરૂરિયાત માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા 45 જેટલાં પાણીના ટેન્કર દ્વારા સતત પાણીનો પુરવઠો પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં યાત્રિકો ભક્તિની સાથે સાથે મનોરંજન માણી શકે એ માટે સેવા કેમ્પો ખાતે અને અંબાજી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.જેમાં ખ્યાતનામ કલાકારો યાત્રિકોને મનોરંજન કરાવશે. 
 
અંબાજીથી ત્રણ કિ.મી.ના અંતરે પાર્કિગ પ્લોટની સુવિધા ઉભી કરાઇ. આ વખતે મેળામાં પ્રથમવાર યાત્રિકો અંબાજીની નજીકમાં નજીક પોતાનું વાહન પાર્ક કરી શકે એ માટે અંબાજીથી ત્રણ કિલોમીટરના અંતરે પાર્કિગ પ્લોટની સુવિધા ઉભી કરવામાં આવી છે. કુલ- 21 પાર્કિંગ પ્લોટ ડેવલોપ કરાયા છે જેમાં 172 ટોયલેટ યુનિટની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. સમગ્ર મેળાના સુચારુ આયોજન માટે જિલ્લા વહીવટીતંત્રના અલગ અલગ વિભાગોની 29 જેટલી સમિતિઓ બનવવામાં આવી છે. પદયાત્રી સંઘો માટે પ્રથમવાર ઓનલાઈન રજીસ્ટ્રેશની વ્યવસ્થા કરાઇ આ વખતે મેળામાં આવતા પદયાત્રી સંઘો માટે પ્રથમવાર ઓનલાઇન રજીસ્ટ્રેશની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધી 2326 પદયાત્રી સંઘોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. 
 
ગુજરાતભરમાંથી આવતા પદયાત્રી સંઘોમાં વધુમાં વધુ 4 વાહનોને પાસ અપાય છે. હદાડ એન્ટ્રી ગેટ પાસે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી પાસ ઈશ્યુ કરી શકાય એ માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે અત્યાર સુધીમાં 7000 સંઘોના વાહન પાસ ઇસ્યુ કરાયા છે. પ હજાર પોલીસ કર્મીઓ અને 325 થી વધારે સી.સી.ટી.વી કેમેરા મેળા પર ચાંપતી નજર રાખશે મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય એ માટે પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે જેની માહિતી આપતા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, 500 થી વધુ પોઇન્ટ પર 5 હજાર પોલીસકર્મીઓ ખડેપગે ફરજ નિભાવશે. 325 સી.સી.ટી.વી. કેમેરા,10 પી.ટી.ઝેડ કેમેરા, 48 બોડી વોર્ન કેમેરા, 35 ખાનગી કેમેરામેન,13 વોચ ટાવર અને પદયાત્રીઓ માટે 48 પોલીસ સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. 
 
22 પાર્કિંગ પ્લોટ પર પોલીસની નજર હેઠળ તમામ વસ્તુઓને લગેજ સ્કેનર દ્વારા ચેક કરીને જ પ્રવેશ મળે એ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા માટે મહિલા સી ટીમ તૈનાત રહેશે. કોમ્યુનિકેશન માટે 252 વોકિટોકીની વ્યવસ્થા 18 સ્ટેસ્ટીટિક્સ ટીમ અને ઘોડેસવાર જવાનો પણ સુરક્ષા અને સલામતી માટે ખડેપગે ફરજ બજાવશે. 100 નંબર ડાયલ કરી કોઈપણ વ્યક્તિ પોલીસની મદદ મેળવી શકશે. અંબાજી તરફના માર્ગો અને ગબ્બર ખાતે પણ પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બાળકો ખોવાયાના કિસ્સામાં RFID રેડિયો ફ્રિકવનસી આઇડેન્ટિટીફિકેશન દ્વારા એક QR કોડ સિસ્ટમ જનરેટ કરવામાં આવી છે. 
 
જેના દ્વારા મેળામાં વિખુટા પડી ગયેલા કે ખોવાઈ ગયેલા બાળકોને સરળતાથી ટ્રેસ કરી શોધી શકાશે. અસામાજિક તત્વોનો ડેટા એનાલીસીસ કરી મેળા દરમિયાન કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓને અટકાવવા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. દર્શનાર્થીઓ માટે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું નવું નજરાણું આ વખતે યાત્રિકો અને દર્શનાર્થીઓ માટે આકર્ષણ માટે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું નવું નજરાણું પ્રસ્તુત કરવામાં આવ્યું છે.જે અંતર્ગત યાત્રાધામ અને પ્રવાસન વિકાસ બોર્ડ દ્વારા 5 લોકેશન પર ડોમ બનવવામાં આવ્યા છે જેમાં રોજ રાત્રે 3 જેટલાં શો યોજવામાં આવશે. 
 
700 જેટલાં સફાઈ કર્મચારીઓ મેળામાં સફાઈ જાળવવાની કામગીરીમાં સેવા આપશે મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિક શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે મેળામાં સ્વચ્છતા અને સફાઈનું પણ તંત્ર દ્વારા ધ્યાન રાખી 700 જેટલા સફાઈ કર્મચારીઓ મેળામાં સફાઈ જાળવવાની કામગીરીમાં સેવા આપશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.