ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (12:39 IST)

સુરતમાં 10માં ઘોરણની કિશોરીએ કર્યો આપઘાત, હોમવર્ક ન કરવાની ફરિયાદ માતાએ ટીચરને કરતા ખોટુ લાગ્યુ

આજકાલના બાળકોને શાળામાં શિક્ષક ઠપકો આપે કે ઘરમાં માતા-પિતા અભ્યાસને લઈને બોલે તે સહન થતુ નથી અને જીવનનો નવો પાઠ શીખવાની ઉમંરે આત્મહત્યા જેવા ગંભીર નિર્ણયો લઈને પરિવાર પર એક ન ભૂલાય એવો બોજ છોડી જાય છે. આવો જ એક કિસ્સો સુરતના ડીંડોલીમાં સામે આવ્યો છે. સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં ધોરણ-10ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મૃતક ખુશીએ હોમવર્ક ન કર્યું હોવાનું તેની માતાએ ટીચરને જાણ કરી હતી, જેથી ખુશીને લાગી આવતાં આપઘાત કરી લીધો હોવાનું પરિવારનોએ જણાવ્યું હતું. ખુશીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
 
 
ડીંડોલી વિસ્તારમાં આવેલી આલોક રેસિડેન્સીમાં ધોરણ-10માં અભ્યાસ કરતી ખુશી પ્રકાશભાઈ પટેલ (ઉ.વ. 15) પરિવાર સાથે રહેતી હતી અને પરિવારની એકની એક દીકરી હતી. પિતા ઝેરોક્ષની દુકાન ચલાવતા હોવાનું અને મૂળ મહેસાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે. ઉત્તરાયણના રોજ ઓનલાઈન અભ્યાસના હોમવર્ક બાબતે માતાએ સ્કૂલના શિક્ષકને ફોન કરી દીકરીએ હોમવર્ક નથી કર્યું એ ફરિયાદ કરતાં ખુશીને લાગી આવ્યું હતું. ત્યાર બાદ કોઈને પણ જાણ કર્યા વગર ખુશી એકાંતમાં જઈ કોઈ ઝેરી દવા પી ગઈ હતી.
 
કિશોર વયના બાળકો અને યુવાઓના વધતા કેસને લઈને સૌએ વિચારવા જેવુ છે.  માતા-પિતાએ બાળકોને લાડ કરવા પણ એટલા પણ નહી કે તેમના સારા માટે કહેલી વાતને પણ ખોટી સમજીને ખોટુ લગાડે. બાળકોને બાળપણથી જ ઠપકો સાંભળવાની ટેવ પણ હોવી જોઈએ. જ્યારે ઘરમાં પિતા ઠપકો આપે અને માતા બાળકનો પક્ષ લે એવુ ન હોવુ જોઈએ, કોઈ વાત ખોટી છે તો બંનેયે મળીને બાળકને પ્રેમથી સમજાવવુ જોઈએ.  પહેલા ઘોરણથી જ બાળકના અભ્યાસની ગંભીરતા સમજાવવી જોઈએ. સીધા બોર્ડની પરિક્ષા આવે ત્યારે જ ગંભીરતા સમજીને બાળકોને ટોકવુ એ પણ યોગ્ય નથી. બાળકોએ પણ પોતાના માતા-પિતા જે કંઈ બોલે તે તેમના સારા માટે જ છે એ વાત સમજવી જોઈએ અને આત્મહત્યા જેવા ગંભીર નિર્ણયો ન લેવા જોઈએ. કારણ કે શીખવાની ઉમરે ઠોકર તો વાગશે જ.. અને માતા પિતા તમને ઠોકર ન વાગે એ માટે જ ઠપકો આપતા હોય છે એ પણ સમજવુ જોઈએ.