બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 માર્ચ 2022 (13:15 IST)

હરખના આંસુ: યુક્રેનથી વધુ ૧૦૭ ગુજરાતના વિદ્યાર્થીઓ ઓપરેશન ગંગા થકી પરત આવ્યા

યુક્રેનથી ગાંધીનગર સરકીટ હાઉસ  ખાતે ગુજરાતના ૧૦૭ વિદ્યાર્થીઓ પરત આવ્યા છે. ગાંધીનગરના આંગણે આવેલા વિદ્યાર્થીઓને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પુષ્પગુચ્છ આપી આવકાર આપવામાં આવ્યો હતો. પરત આવેલા વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓનો આજે જન્મદિવસ પણ હતો.બન્ને વિદ્યાર્થીઓએ પોતાના જન્મદિવસની ઉજવણી મંત્રી અને અન્ય યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓ સાથે કેક કાપીને કરી હતી.  
આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, યુક્રેનમાં સર્જાયેલી પરિસ્થિતિમાં ત્યાં અભ્યાસ કરતા ભારતીય વિધાર્થીઓને પરત લાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા નો આરંભ કરવામાં આવ્યો છે. ઓપરેશન ગંગા થકી ગુજરાતના વધુ ૧૦૭ જેટલા વિદ્યાર્થીઓને યુક્રેનના યુદ્ધભૂમિ મેદાન ઉપર થી જન્મભૂમિ ઉપર પરત લાવવામાં આવ્યા છે. 
 
તેમણે ઉમેર્યું હતું કે, યુક્રેનથી પરત ભારતના દિલ્હી- મુંબઈ એરપોર્ટ ખાતે આવતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર મા બાપ ની ભૂમિકા અદા કરી રહી છે. રાજ્યમાં મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વવાળી સરકારે યુક્રેન થી નીકળેલા વિદ્યાર્થીઓ ક્યારે દિલ્હી મુંબઈ એરપોર્ટ પર આવશે,દિલ્હી-મુંબઈ એરપોર્ટ ઉપર આવશે અને કેટલા વાગે ગુજરાતમાં આવશે જેવી સઘળી માહિતી વિદ્યાર્થીઓના વાલીઓને આપવામાં આવી રહી છે. આ સુવ્યવસ્થિત નેટવર્ક ઊભું કરવા માટે સરકારના કર્મનિષ્ઠ અધિકારી-કર્મચારીઓ પોતાની ફરજ પુરી નિષ્ઠાથી અદા કરી રહ્યા છે.
 
ગાંધીનગરના સરકીટ હાઉસ ખાતે આજે વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે મિલાપ થતા જ તેઓ એકબીજાને ભેટી પડ્યા હતા  તેમજ હરખના આંસુ પણ જોવા મળ્યા હતા. યુક્રેનથી પરત આવનાર વિદ્યાર્થીઓ સાથે મંત્રીએ વાર્તાલાપ કર્યો હતો. મંત્રીએ સમક્ષ વિદ્યાર્થીઓએ કેવી પરિસ્થિતિનો સામનો કર્યો છે. તેની રૂંવાટા ઉભા થઇ જાય તેવી વાતો કરી હતી.વિદ્યાર્થીઓએ એવું પણ કહ્યું હતું કે  આપણા દેશનો રાષ્ટ્રધ્વજ આ કપરી પરિસ્થિતિમાં અમારા માટેની ઓળખ બની ગયો હતો.  દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એ કરેલી સહાયને કારણે અમે આજે ખૂબ જ ઝડપી ગુજરાત ફરી શક્યા છીએ તે બદલ ભારત અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.