શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By હેતલ કર્નલ|
Last Modified: રવિવાર, 30 ઑક્ટોબર 2022 (14:07 IST)

સાત વર્ષના સંધર્ષની વાત: 7 વર્ષની હૃદયની તકલીફ અને 7 આંકડાના ખર્ચમાંથી મુક્તિ, આ રીતે બન્યું સંભવ

ખેતમજૂરી કરતા વ્યક્તિનું હૃદય બંધ થવાની કગાર પર હતું, હૃદયને ઘબકતું રાખવા સાત વર્ષથી સંધર્ષ કરતા આ વ્યક્તિને અનેક વખત હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. શ્વાસ રૂંધાવો, વારંવાર બેચેની થવી જેવી સમસ્યાઓ જીવનનો નિત્યક્રમ બની ગઇ હોય. આવી સમસ્યામાંથી પસાર થતો ગરીબ વ્યક્તિ પ્રભુને ફક્ત આટલી જ પ્રાર્થના કરે : “પ્રભુ મને તારા શરણોમાં લઇ લે”
 
હૃદયની અતિગંભીર સમસ્યા કે જેમાં પ્રત્યારોપણ જ એક માત્ર વિકલ્પ હોય. આ પ્રત્યારોપણની સારવાર ગરીબ પરીવાર માટે તો સ્વપ્ન સમી જ હતી. ભાવનગરના ડોડિયા પરિવારનો 29 વર્ષનો દીકરો આ તમામ સમસ્યામાંથી સાત વર્ષથી પસાર થઇ રહ્યો હતો અને વધું જીવવાની આશા ગુમાવી ચૂક્યો હતો. ત્યાં એકાએક ગઇ કાલે તેને સિવિલ હોસ્પિટલમાંથી 40 વર્ષના રાજુભાઇ ડાભીનું હૃદય અંગદાનમાં મળ્યું.
 
યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ 29 વર્ષીય યુવક દર્દીમાં આ અંગદાનમાં મળેલા હૃદયને પ્રત્યારોપણ કરવામાં આવ્યું. પ્રત્યારોપણ સફળ રહ્યું અને યુવકને નવજીવન મળ્યું. અત્યાર સુધી સમાજમાં એવી માનસિકતા હતી કે માલેતુજાર લોકોની પીડા દૂર કરવા માટે જ હૃદય પ્રત્યારોપણ છે. ખાનગી હોસ્પિટલમાં આશરે 25 થી 30 લાખની માતબર રકમના ખર્ચે થતું હૃદય ટ્રાન્સપ્લાન્ટ ધનિક લોકો જ કરાવી શકતા હોય છે. 
 
પરંતુ સમય પ્રમાણે આ માન્યતાઓ બદલાઈ છે. સિવિલ મેડિસિટીમાં હૃદયનું પ્રત્યારોપણ શરૂ થતા રાજ્યના હજારો ગરીબ પરિવારો કે જેમાંથી કેટલાક દર્દીઓને હૃદયની ગંભીર સમસ્યા હોય, જેમના માટે હૃદયના પ્રત્યારોપણ સિવાય અન્ય કોઇ વિકલ્પ ન હોય, તેવા દર્દીઓ માટે તો આશાનો સૂરજ ઉગ્યો છે. 
 
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે 94મું અંગદાન થયું. ખેડા જિલ્લાના 42 વર્ષીય રાજુભાઇ ડાભીને માથાના ભાગમાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. ગંભીર આંતરિક ઈજાઓને લીધે તેઓ બ્રેઇનડેડ થયા હતા. તેમના પરિવારજનોએ રાજુભાઇનાં અંગોના દાન થકી અન્ય જરૂરિયાતમંદને નવજીવન આપવાનો હૃદયસ્પર્શી નિર્ણય કર્યો હતો. બ્રેઇનડેડ રાજુભાઇના અંગદાનમાં હૃદયનું દાન મળ્યું. જેણે સિવિલ મેડિસિટીની જ યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ ભાવનગરના 29 વર્ષીય યુવકમાં સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.
 
જે દર્દીમાં હૃદય પ્રત્યારોપણ કરવામાં આવ્યું, તે દર્દીને 7 વર્ષથી DCMP નામની હૃદય સંબંધિત ગંભીર બીમારી હતી. જેના કારણે તેમને વારંવાર શ્વાસ ચઢવો, બેચેની થવી, ભૂખ ન લાગવી, ઉબકા આવવા, ખાંસી આવવી જેવી તકલીફોનો સામનો કરવો પડતો હતો. ખેતમજૂરી કરીને જીવન ગુજરાન ચલાવતા આ યુવકના પરિવાર માટે હૃદયનું પ્રત્યારોપણ અશક્ય હતું. પરંતુ રાજ્ય સરકાર સંચાલિત યુ.એન. મહેતા હોસ્પિટલમાં યુવકનું હૃદય પ્રત્યારોપણ થયું. તબીબોના મતે હાલ પ્રત્યારોપણ બાદ દર્દીની હાલત સ્થિર છે. અને થોડા જ દિવસોમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે.