શનિવાર, 21 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 1 માર્ચ 2022 (11:33 IST)

આજે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા, જ્યોત પૂજન, ચાર પ્રહરનું વિશેષ પુજન-આરતી સહિત કાર્યક્રમોનો સંગમ રચાશે

શિવ અને જીવના મિલન એવા પવિત્ર મહાશિવરાત્રીના દિવસે પ્રથમ જયોતિલીંગ મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્‍યામાં શિવભકતો સોમનાથ આવી પહોંચશે. ત્‍યારે શિવરાત્રીની પૂર્વસંધ્યાથી જ યાત્રાઘામ સોમનાથમાં ધીમે ધીમે ભક્તોનો પ્રવાહ ઉમટી રહ્યો છે. શિવરાત્રીને લઇ મંદિર ટ્રસ્‍ટ અને તંત્ર દ્રારા તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે.

સોમનાથ મંદિર ઝેડ પ્‍લસ સુરક્ષા ધરાવતુ હોવાથી શિવરાત્રીને લઇ સુરક્ષા વ્યવસ્થા જાળવવા રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત તૈનાત કરવાનું આયોજન કરાયું છે. તો શિવરાત્રીએ સોમનાથ આવતા ભાવિકોને પ્રસાદીરૂપી ભોજન મળી રહે તે માટે ચોપાટી ગ્રાઉન્‍ડ પાસે સેવાભાવિ સંસ્‍થાઓ દ્રારા આઠ જેટલા ભંડારા યોજવા તૈયારીઓ પુર્ણ કરી લેવામાં આવી છે.ઝેડ પ્‍લસ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરએ શિવરાત્રીને લઇ વિશેષ રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવેલ છે. જેમાં 1 - ડીવાયએસપી, 3 - પી.આઈ., 7 પીએસઆઈ, 90 પોલીસ જવાન, 90 જીઆરડી, 4 ઘોડેસવાર પોલીસ, 1 - બોમ્બ સ્ક્વોડની ટીમ, 1 ડોગ સ્ક્વોડની ટીમ, એસ.આર.પી. ટુકડીના 70 જવાનોને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે.

સોમનાથના શંખ સર્કલથી મંદિરના પાર્કિંગ સુધી ફક્ત વાહનોને પ્રવેશ આપવામાં આવશે. વાહનો જવા માટે ત્રિવેણી રોડ થઈને સદભાવના ગ્રાઉન્ડ બાયપાસ નીકળશે. પાર્કિંગમાં વધારાની જરૂરીયાત પડશે તો સદભાવના ગ્રાઉન્ડમાં પાર્કિંગ કરાવવામાં આવશે અને ત્યાંથી સોમનાથ સ્ટ્રસ્ટ દ્વારા બસની વ્યવસ્થા કરાયેલ છે. જે મંદિરના દરવાજા સુધી લઈ જશે. સોમનાથ સાંનિઘ્‍યે શિવરાત્રીના પાવન દિવસે મહાદેવને શિશ નમાવવા આવતા લાખો ભકતો-શ્રદ્ધાળુઓને ફરાળ અને ભોજન મળી રહે તે માટે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભંડારાનું આયોજન કરાયેલું છે. આ વખતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શોપિંગ સેન્ટરની સામેના ભોજનાલયમાં શિવભક્તો માટે શિવરાત્રીમાં વિશેષ વ્યવસ્થા કરાઈ છે. ત્રિવેણી રોડ ઉપર વર્ષોથી ચાલતું ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્રમાં પણ વ્યવસ્થા કરાઈ છે. આઠ જેટલા ભોજન ભંડારાઓ શિવરાત્રીમાં ભોજન અને ફરાળની વ્યવસ્થા સાથે ધમધમશે તેમજ યાત્રીકો માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા કરાઈ છે.