ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (10:22 IST)

આજે પોષી પૂનમ: માં અંબાના પ્રાગટય દિવસની શક્તિપીઠ અંબાજી ખાતે ધામધૂમથી ઉજવણી કરાશે

બનાસકાંઠા જિલ્લામાં આવેલ શક્તિ, ભક્તિ અને આસ્થાના પ્રતીક સમા પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આજે તા. ૬ જાન્યુઆરી-૨૦૨૩ના રોજ જગતજનની માં અંબાનો પ્રાગટય દિવસ પોષી પૂનમ ધામધૂમથી ઉજવવામાં આવશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ, અંબાજી દ્વારા પોષી પૂનમની ઉજવણી માટે શોભાયાત્રા- જ્યોતયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, મહાશક્તિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન અને તૈયારીઓ કરવામાં આવી છે. 
માં અંબાના પ્રાગટય દિવસે માં અંબાના આશીર્વાદ મેળવવા મંદિર ટ્રસ્ટ દ્વારા સૌ માઇભક્તોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. માં અંબાના પ્રાગટય દિવસે દર્શનાર્થે આવતા યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે અને શ્રધ્ધાળુ ભાવિક ભક્તો માં અંબાના ઉત્સવને માણી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પોષી પૂનમ માં અંબાનો પ્રાગટય દિવસ હોઈ તેને અનુરૂપ વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. 
 
જે અંતર્ગત ગબ્બર થી મંદિર સુધીના માતાજીના ચાચર ચોક સુધી જયોત યાત્રા નીકળશે. તેમજ અંબાજી નગરમાં હાથીની અંબાડી પર માં અંબાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં ૧,૬૦૦ કિલો બુંદી પ્રસાદ અને ૨,૧૦૦ કિલો સુખડી પ્રસાદ ભાવિક ભક્તોને વિતરણ કરવામાં આવશે. શોભાયાત્રામાં ૨૫ થી ૩૦ જેટલા ટેબ્લોઝ દ્વારા વિવિધ ઝાંખીઓનું પ્રદર્શન કરવામાં આવશે. તો અંબાજી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા શક્તિની ઉપાસના અને આરાધનાનું મહત્વ દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. 
 
ઉપરાંત માં અંબાના મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૫૦ જેટલા યજમાનો ભાગ લઈ ધન્યતા અનુભવશે. પોષી પૂનમ એ માં આંબાનો પ્રાગટય દિવસ હોઈ ધાર્મિક દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ રહેલું છે. માં અંબાના પ્રાગટય દિવસને ઉલ્લાસભેર ઉજવવા માઇભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળતો હોય છે. જેને લીધે આ દિવસે માં અંબાના આશીર્વાદ પ્રાપ્ત કરવા ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ ભાવિક ભક્તો ઉમટી પડે છે