શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (10:05 IST)

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા તોગડિયા બોલ્યા, ક્રાઈમ બ્રાન્ચ દિલ્હીના ઈશારે કામ કરે છે.

વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયાને બુધવારની સાંજે અમદાવાદની ચંદ્રમણી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી, પણ હોસ્પિટલની બહાર નિકળતા તોગડિયાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કોન્સપીરસી બ્રાન્ચ તરીકેનો વ્યવહાર કરી રહી છે, ક્રાઈમ બ્રાન્ચના વડા જોઈન્ટ પોલીસ કમિશનરની ડીટેઈલ કાઢવામાં આવે અને તે સાર્વજનીક કરવામાં આવે કે જે કે ભટ્ટ અને નરેન્દ્ર વચ્ચે કેટલી વખત શું વાત થઈ છે. તોગડિયાએ ધમકી આપી કે તેઓ પોતાના વકિલ મારફતે જે કે ભટ્ટ સામે કાનુની કાર્યવાહી પણ કરશે, કારણ તેઓ મારા સાથે સંકળાયેલા પરિવારોને ત્રાસ આપી રહ્યા છે,

રાતના બે વાગે તેમના ઘરે પહોંચી પોલીસ તેમની ત્રણ ત્રણ કલાક સુધી પુછપરછ કરે છે. ભટ્ટ તેમના દિલ્હીમાં બેઠેલા રાજકીય બોસના ઈશારે કામ કરી રહ્યા છે, અગાઉ પરિષદના નેતા અશ્વીન પટેલ સામે પણ ખોટો કેસ કરનાર ભટ્ટ હતા, ક્રાઈમ બ્રાન્ચની પ્રતિષ્ઠા ખુબ સારી છે. તેમણે આ પ્રકારના કામ કરવા જોઈએ નહીં. તોગડિયાએ જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચ જે રીતે કામ કરે છે તેને જોતા તે કોના ઈશારે કામ કરે છે તે સ્પષ્ટ થાય છે, ક્રાઈમ બ્રાન્ચ કેટલાંક સીલેકટીવ સીસીટીવી ફુટેજ લઈ ટીવી ચેનલોને આપે છે, અને મારા પરિચીતો ઉપર તેમને અનુકુળ હોય તેવા નિવેદન લેવામાં આવી રહ્યા છે. હું ગુજરાતના મુખ્યમંત્રી સામે માગણી કરૂ છું કે આ બાબતની તપાસ કરવામાં આવે. તેમણે કહ્યું કે મારી સામેનો રાજસ્થાનનો કેસ 2015માં પરત ખેંચી લેવામાં આવ્યો હતો, આમ છતાં કઈ રીતે વોરંટ નિકળ્યું તેની તપાસ થવી જોઈએ.તોગડિયાની ખબર જોવા માટે કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા જે અંગે તેમણે જણાવ્યું હતું ઉત્તર પ્રદેશમાં ભાજપના જે ધારાસભ્ય છે તે સમાજવાદી પક્ષમાંથી આવે તેની સામે કોઈ વાંધો લેતા નથી, આસામમાં કોંગ્રેસના નેતાઓને લેનાર ભાજપને કોઈ સવાલ પુછતું નથી, પણ મને કોંગ્રેસના નેતા મોઢવાડિયા મળવા આવ્યા તેમાં સવાલ ઊભા કરવામાં આવે છે.