1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 25 મે 2021 (18:03 IST)

સુરત : તક્ષશિલા અગ્નિકાંડના બે વર્ષ પછી પણ પરિવારોને હજુ ન્યાય મળ્યો નથી

24મી મે, 2019ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં આગ લાગી હતી. જેમાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. આ બનાવને હાલ બે વર્ષ થઈ ગયા છે છતાં મૃત્યુ પામેલાં વિદ્યાર્થીઓના વાલીઓનું કહેવું છે કે તેમને ન્યાય નથી મળ્યો. તક્ષશિલા આર્કેડમાં આજથી બે વર્ષ પહેલા  સાંજે ચાર વાગ્યાની આસપાસ આગ  લાગી હતી. જેમાં ધાબા પર બનાવવામાં આવેલા શેડમાં ચાલતા ક્લાસીસના 22 જેટલા માસૂમ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો. એક તરફ બિલ્ડિંગના ચોથા માળેથી જીવ બચાવી વિદ્યાર્થીઓ કુદી રહ્યા હતાં, તો બીજી તરફ 16 જેટલા માસુમો આગની જ્વાળામાં લપટાયા હતા.
અત્યાર સુધી આ અગ્નિકાંડમાં સંડોવાયેલા 14 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી કોરોનાકાળમાં 9 આરોપીઓને તો જામીન મળી ગયા છે. જે બાદ તેઓ પોતાની ફરજ પર પણ હાજર થઇ ગયા છે. જ્યારે પાંચ આરોપી હજુ પણ જેલમાં છે. જેલમાં બંધ આરોપીમાં ભાર્ગવ બુટાણી, રવિ કહાર, હરસુખ વેકરિયા, દિનેશ વેકરિયા, સવજી પાઘડાલ છે.