શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 31 ઑગસ્ટ 2021 (21:37 IST)

આગામી પાંચ દિવસમાં સમગ્ર રાજ્યમાં સારા વરસાદની સાથે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના: હવામાન વિભાગ

રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજીત 80.90 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું
છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 94.57 ટકા વાવેતર
રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં 362.41 મી.મી. વરસાદ નોંધાયો
રાજ્યમાં આજે 24 જિલ્લાના 90  તાલુકામાં વરસાદ નોંધાયો 
 
 
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત કમિશનર અને મહેસુલ વિભાગના અધિક સચિવ આર્દ્રા અગ્રવાલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠક આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવી હતી. IMDના અધિકારીએ જણાવ્યુ છે કે, પાંચ દિવસની હવામાનની આગાહી જોતાં સમગ્ર રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. 
 
રાજ્યના 90 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રાહત નિયામક સી.સી. પટેલે આ બેઠકમાં જણાવ્યું કે, આજે સવારે  6 થી બપોરના 2 સુધી રાજ્યમાં 24 જિલ્લાના 90 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડ જિલ્લાના ઉંમરગામ તાલુકામાં 259 મી.મી વરસાદ પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 312 ઓગસ્ટ અંતિત 362.41 મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ 840 મી.મી.ની સરખામણીએ 43.14 ટકા છે. 
 
80.90 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર
કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે તા. 31 ઓગસ્ટ 2021 સુધીમાં અંદાજીત 80.90 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન 82.98 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 94.57 ટકા વાવેતર થયું છે.
 
સરદાર સરોવર 1,55,419 એમ.સી.એફ.ટી. પાણી
સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના અધિકારી દ્વારા જણાવાયુ છે કે, સરદાર સરોવર જળાશયમાં હાલ 1,55,419 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 46.52 ટકા છે.
સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, રાજ્યના 206 જળાશયોમાં 2,87,531  એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 51.58 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ 6 જળાશય, એલર્ટ ૫ર કુલ 5 જળાશય તેમજ વોર્નિંગ ઉ૫ર 12 જળાશય છે.
 
એન.ડી.આર.એફ.ની 15 ટીમમાંથી 7 ટીમો ડિપ્લોય કરાઈ
એન.ડી.આર.એફ.ની કુલ 15 ટીમમાંથી 7 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. જે પૈકી વલસાડ, સુરત, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, જુનાગઢ અને કચ્છ ખાતે 1-1 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે. અને 7-ટીમ વડોદરા અને 1-ટીમ ગાંધીનગર ખાતે રિઝર્વ રાખવામાં આવી છે. 
 
રાજ્યના તમામ વિભાગો સજ્જ
વન વિભાગ, મત્સ્ય વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય વિભાગ, જી.એમ.બી., કોસ્ટગાર્ડ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, જી.એસ.આર.ટી.સી. તથા ઇસરો, બાયસેગ, જળસં૫તિ અને સરદાર સરોવર નિગમ લિમિટેડના અઘિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા અને ચોમાસુ અંગે તમામ ૫રિસ્થિતિમાં ૫હોંચી વળવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાનું જણાવ્યું હતુ.