Chaitra Navratri Durga Pooja | ચૈત્રી નવરાત્રીમાં કરો માતાની આરાધના
ચૈત્ર નવરાત્રી 21 માર્ચ ઘટસ્થાપના મુહુર્ત - 06:34 થી 07:45
નવરાત્રી એટલે નવ રાત્રીનું પર્વ. વર્ષમાં ચાર વખત આવે છે માં શક્તિનું આ મહાપર્વ. હિંદુ મહિના પ્રમાણે આસો, ચૈત્ર મહા અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રી શક્તિ સંપ્રદાયની વિવિધ પ્રચલિત રીતો પ્રમાણે ઉજવવામાં આવે છે.
આધ્યાત્મિક દ્વષ્ટિએ ચૈત્રી નવરાત્રીનું મહત્વ સવિશેષ છે. ચૈત્ર સુદ પૂનમથી શરૂ થતી ચૈત્રી નવરાત્રીમાં માં અંબાજીના પવિત્ર સ્થાન અંબાજીના ચાંચર ચોકની યજ્ઞશાળા ખાતે શત્ ચંડી યજ્ઞ તથા અન્ય પૂજાઅર્ચના આયોજિત કરવામાં આવે છે.
ચૈત્રી નવરાત્રીમાં દેવી દર્શન, ઓમ હવન અને માનસિક પૂજાઅર્ચનાનું ખુબ મહત્વ છે. ઘણાં લોકો આઠ દિવસ અને નવ રાત્રી સુધી એક પાત્રમાં જવારા વાવીને કે અખંડ દીપ પ્રજ્વલિત કરીને માં શક્તિની આરાધના કરતા હોય છે.
અંબાજી ખાતે તો નવરાત્રીના આઠમાં દિવસે ભૂતપૂર્વ દાંતા રજવાડાના શાસકો નવચંડી યજ્ઞ કરે છે તથા ઉપસ્થિત ભાવિક ભક્તોને પ્રસાદ આપતા હોય છે.
ચૈત્ર નવરાત્રીમાં દાન, પૂજન તેમજ દેવીની આરાધના જરૂરથી કરવી જોઈએ. આ દિવસે ભગવાન નારાયણના નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું હતું, જેમાંથી સૃષ્ટિના રચિયતા બ્રહ્મદેવનું પ્રાગટ્ય થયું. ભગવાન સ્કંધના વર્ણન મુજબ અશ્વિન મહિનાનાં નોરતાએ બ્રહ્માજીનો દિવસ શરૂ થાય છે અને ચૈત્રી નવરાત્રીએ તેમનો દિવસ (6 મહિને) પૂરો થતા રાત્રી શરૂ થાય છે.
ચૈત્રી નવરાત્રીની નવમીએ ભગવાન શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રીને 'રામ નવરાત્રી' પણ કહેવાય છે. માતા શક્તિએ જુદાં જુદાં રૂપ લઈને નિર્ણાયક કાર્યો સંપન્ન કર્યાં હતા તેથી તે અલગ અલગ નામે પૂજાય છે.
ચૈત્રી નવરાત્રીમાં શ્રી દેવીસુક્તમ્, શક્રાદય સ્તુતિ તથા દુર્ગા સપ્તશતીના પાઠ કરવા સર્વ પ્રકારે લાભદાયી છે. આ પાઠનું શ્રવણ માત્ર કોઈપણ જીવનું જીવન સુખમય બનાવી શકે છે.