ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : સોમવાર, 4 મે 2020 (10:27 IST)

મોહિની એકાદશી વ્રત કથા - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

મોહિની એટલે મોહ પમાડનારી નહીં, પણ મોહમુક્ત કરનારી. રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે, તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે. રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જાગે, બીજા પ્રહરમાં ભોગી જાગે, ત્રીજા પ્રહરમાં ચોર જાગે અને ચોથા પ્રહરમાં યોગી જાગે. યોગ અને ભોગ એક જ છે. વ્રતી જ્યારે સાધનાની ચરમસીમા પર પહોંચી જાય છે ત્યારે યોગની સીમા આવી જાય છે, એનું મન મોહથી મુક્ત બની જાય છે. મોહની ક્ષણ પણ ચારિત્ર્યથી જીતી શકાય છે. મોહની ક્ષણ દરેકના જીવનમાં આવે છે. કામાસક્તિ સંસારનું મોટું આકર્ષણ છે. શ્રીકૃષ્ણ ભગવાને સ્ત્રીઓના સંગે રહીને કામને જીત્યો હતો અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું હતું.
 
 શ્રી રામે કહ્યું : “ભગવાન ! જે બધાય પાપોનો ક્ષય અને બધા પ્રકારના દુ:ખોનું નિવારણ કરના રપ વ્રતોમાં ઉત્તમ વ્રત હોય એ હું સાંભળવા ઇચ્‍છું છું.”
 
          વશિષ્‍ઠજી બોલ્‍યાઃ “શ્રી રામ ! તમે ઘણી ઉત્તમ વાત કહી છે. મનુષ્‍ય તમારુ નામ લેવાથી બધા પાપોથી શુધ્‍ધ થઇ જાય છે.  છતાં પણ લોકોના હિતની ઇચ્‍છાથી હું પવિત્રમાં પણ પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ. વૈશાખ માસમાં શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે, એનું નામ મોહિની છે. એ બધાય પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે. એના વ્રતના પ્રભાવથી મનુષ્‍ય મોહજાળ અને પાપોના સમૂહથી છૂટકારો મેળવી લે છે.”
 
          સરસ્‍વતી નદીના રમણીય તટપર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે. ચંદ્રવંશમાં ઉત્‍પનન થયેલા અને સત્‍ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્‍યાં રાજય કરતાં હતા. એજ નગરમાં એક વૈશ્‍ય રહેતો હતો. કે જે ધનધાન્‍યથી પરિપૂર્ણ અને સમૃધ્‍ધ હતો એનું તના પણ ધનપાલ હતું. એ હંમેશા પૂણ્ય કામમાંજ મગ્‍ન રહેતો હતો. પ્રજા માટે પરબો, તળાવો, કુવા, ધર્મશાળા, બગીચાઓ અને ઘરો બનાવડાવતો. શ્રી વિષ્‍ણુની ભકિતમાં એનો હાર્દિક અનુરાગ હતો. એ હંમેશા શાંત રહેતો. એના પાંચ પુત્ર હતા. સુમતિ, કીર્તિબુદ્ધિ, મેઘાવી, સકૃત અને ધૃષ્‍ટબુદ્ધિ પાંચમો પુત્ર હતો. એ હંમેશા મોટા પાપો માંજ સંલગ્‍ન રહેતો. જુગારમાં એની ઘણીઅસકિત હતી. વેશ્‍યાઓને મળવા માટે એ લાલાયિત રહેતો. એનું મન ન તો દેવતાઓના પૂંજનમાં લાગતું કેના પિતૃઓ તથા બ્રાહ્મણોને સત્‍કારવામાં ! એ દુષ્‍ટાત્‍મા અત્‍યાચારના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતો. એક દિવસ એ વેશ્‍યાના ગળામાં હાથ રાખીને ચોવાટે ફરતો જોવા મળ્યો, ત્‍યારે પિતાએ એને ઘરમાંથી કાઢી મૂકયો. અને બધું બાંધવોએ પણ એનો પરિત્‍યાગ કરી દીધો . હવે એ દિવસ-રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો અનેક પ્રકારના કષ્‍ટો ભોગવતો જયાં ત્‍યાં ભટકવા લાગ્‍યો. એક દિવસ કોઇ પૂણ્યના પ્રતાપે એ મહર્ષિ કૌન્ડિન્‍યના આશ્રમ પર જઇ પહોચ્‍યો. વૈશાખ મહિનો હતો. તપોધન કૌન્ડિન્‍ય ગંગાજીમાં સ્‍નાન કરીને આવ્‍યા હતા. દુષ્‍ટબુદ્ધિ શોકથી પિડિત થઇને મુનિવર પાસે ગયો. અને હાજ જોડીને તેમની સમક્ષ ઊભો રહીને બોલ્‍યોઃ “બ્રહ્મન ! દિવ્‍યશ્રેષ્‍ઠ ! મારા પર કૃપા કરીને કોઇ એવું વ્રત બતાવો કે જેના પૂણ્યના પ્રભાવથી મારી મુકિત થાય !”
 
કૌન્ડિન્‍ય કોલ્‍યાઃ “વૈશાખના શુકલ પક્ષમા મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર. આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્‍મોના કરેલ મેરુ પર્વત જેવડા મહા પાપો પણ નષ્‍ટ થઇ જાય છે.”
 
          વશિષ્‍ઠજી કહે છેઃ “શ્રીરામ ! મુનિના આ વચનો સાંભળીને દુષ્‍ટબુદ્ધિનું ચિત્ત પ્રસન્‍ન થઇ ગયું. એણે કૌન્ડિન્‍યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. નૃપશ્રેષ્‍ઠ ! આ વ્રતના પાલનથી એ નિષ્‍પાપ થઇ ગયો અને દિવ્‍યદેહ ધારણ કરીને ગરુડપર આરુઢ થઇને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્‍ણુધામમાં ગયો. આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે. એ વાંચવાથી અને સાંભળવાથી હજાર ગૌદાનનું ફળ મળે છે.