શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ભગવાન જગન્નાથની રથયાત્રા
Written By
Last Modified: ગુરુવાર, 24 જૂન 2021 (20:43 IST)

અમદાવાદમાં જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે મોસાળમાં પધાર્યા

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાની તૈયારી શરૂ થઈ છે.આજે સવારે જળયાત્રા પૂર્ણ થઈ તે બાદ ભગવાને ગજવેશ ધારણ કર્યો હતો. જે બાદ ભગવાનને નીજ મંદિરથી તેમના મોસાળ સરસપુર ખાતે લાવવામાં આવ્યા છે.મોસાળમાં ભગવાનની આરતી બાદ ભક્તો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. કોરોનાને કારણે દર વર્ષની જેમ ધામધૂમથી નહી પરંતુ સાદગીથી ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમાસ સુધી ભગવાન મોસાળમાં રહેશે ત્યાર બાદ નીજ મંદિર પરત ફરશે.

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે. કોરોનાને કારણે રથયાત્રા યોજવી કે કેમ તે અંગે નિર્ણય લેવાયો નથી.પરંતુ રથયાત્રા અગાઉ થતી તમામ વિધી અત્યારે થઈ રહી છે. કોરોનાને કારણે તમામ વિધિ સાદગીથી કરવામાં આવી રહી છે. જેઠ મહિનાની પૂનમના દિવસે દર વર્ષે જગન્નાથ મંદિરથી જળયાત્રા નીકળે છે. જે આજે પરંપરાગત રીતે નીકળી હતી. ત્યાર બાદ ભગવાનને અભિષેક કરાવવામાં આવે છે અને ભગવાનને ગજવેશનો શણગાર કરવામાં આવે છે.તમામ વિધિ બાદ આજે ભગવાનને નીજ મંદિરથી સરસપુર માં આવેલ રણછોડજીના મંદિર એટલે કે ભગવાનના મોસાળ ખાતે લાવવામાં આવ્યા હતા. મોસાળ ખાતે દર વર્ષ જેટલી ભીડ નહોતી પરંતુ સાદગીપૂર્ણ રીતે ઉમંગથી લોકોએ ભાગવાનું સ્વાગત કર્યું હતું. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની આરતી ઉતારવામાં આવી હતી અને તે બાદ ભક્તો માટે ભગવાનના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.આજથી અમાસના દિવસ સુધી ભગવાન મોસાળમાં રહેશે જ્યાં ભક્તો માટે ભગવાનના દર્શન ખુલ્લા મૂકવામાં આવશે.દર વર્ષે રથયાત્રા અને અગાઉ થતી વિધી ખૂબ જ ધૂમધામ પૂર્વક યોજાય છે. પરંતુ આ 2 વર્ષથી કોરોનાને કારણે તમામ વિધિ સાદગીથી યોજાઈ હતી. ભગવાન મોસાળે આવે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો ઢોલ નગારા સાથે સ્વાગત માટે ઉમટતા હોય છે. તેની જગ્યાએ આ વર્ષે ગત વર્ષની જેમ જ સાદગીથી ભાગવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દર વર્ષે ભજન મંડળી દ્વારા રોજ સાંજે ભજન યોજાય છે. ત્યારે હવે કોરોનાને કારણે ભજન પણ નહીં યોજાય અને તમામ નિયમોના પાલન સાથે લોકોએ દર્શન કરવાના રહેશે. જોકે રથયાત્રા પણ કાઢવી કે નહિ તે અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.