શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 17 ડિસેમ્બર 2019 (11:24 IST)

CAA : નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ કેમ થઈ રહ્યાં છે પ્રદર્શનો? સમજો સરળ શબ્દોમાં

ભારતમાં બહુચર્ચિત સિટીઝનશિપ ઍમેન્ડમૅન્ટ ઍક્ટ 2019 વિરુદ્ધ પ્રદર્શનનો વ્યાપ વધતો જઈ રહ્યો છે.
સો શબ્દમાં સમજો આખી બાબત
ગત સપ્તાહે સરકારે આ કાયદો સંસદમાં પસાર કરાવ્યો હતો. કૉંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ આ કાયદોનો ભારે વિરોધ કર્યો હતો.
આ કાયદા પ્રમાણે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી બિનમુસ્લિમ એટલે કે હિંદુ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, શીખ અને પારસી સમુદાયના લોકોને ભારતમાં નાગરિકત્વ મેળવી શકે છે.
જોકે આસામમાં આ કાયદા વિરુદ્ધ પ્રદર્શનો ત્યારથી ચાલુ છે જ્યારથી તેના અંગેનું બિલ રજૂ કરવાની વાત હતી.
 
કાયદો બન્યા બાદ આ રવિવારે દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા અને આસપાસના વિસ્તારમાં આ કાયદાના વિરોધમાં પ્રદર્શન હિંસક બનતા પોલીસની ભૂમિકા પર પ્રશ્નો ઊભા થયા છે.
પથ્થરમારો, વાહનોને સળગાવવા, પોલીસનો યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં પ્રવેશ અન લાઠીચાર્જ બાદ પોલીસની ભૂમિકાને લઈને દેશની અનેક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જામિયાના વિદ્યાર્થીઓના સમર્થનમાં આવી ગયા છે.
મુંબઈ, ચેન્નાઈ, અલીગઢ, લખનૌ, અમદાવાદ, કોલકાતા સહિત કેટલાંક શહેરોમાં પોલીસ કાર્યવાહી વિરુદ્ધ પ્રદર્શનો થયાં છે.
 
સમજો 500 શબ્દોમાં
શું છે કાયદો?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ બિલ 2019 લોકસભામાં રજૂ કર્યું ત્યારથી તેનો મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે.
મોટાં ભાગનાં શહેરોમાં વિદ્યાર્થીઓએ વિરોધપ્રદર્શનની આગેવાની લીધી છે.
આ કાયદા હેઠળ ત્રણ પાડોશી દેશ બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી બિનમુસ્લિમ સમુદાયના લોકો એટલે કે હિંદુ, બૌદ્ધ, શીખ, પારસી, જૈન અને ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતમાં નાગરિકત્વ મળશે. આમાંથી મુસ્લિમોને બાકાત 
 
આસામ કેમ ઊકળી રહ્યું છે?
સિટીઝનશિપ ઍમેન્ડમેન્ટ બિલ 2019 સંસદમાં પસાર થયું ત્યાર પહેલાંથી આસામમાં વિરોધપ્રદર્શન શરૂ થઈ ગયાં હતાં.
સ્થાનિક આસામીઓને આશંકા છે કે બાંગ્લાદેશમાંથી આવેલા 'બિનમુસ્લિમ હિંદુઓ'ને કાયદેસરનું નાગરિકત્વ મળશે, તો તેમની 'ઓળખ અને અસ્મિતા' પર સંકટ ઊભું થશે.
આસામમાં ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયને વિરોધનું નેતૃત્વ લીધું છે તથા અન્ય વિદ્યાર્થી સંગઠન પણ તેની સાથે જોડાયા છે.
આસામ સિવાય દિલ્હી, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં પણ વિરોધ થઈ રહ્યો છે.
 
વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ?
દિલ્હીના જામિયામાં રવિવારે સીએએ વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન પથ્થરમારો થયો હતો, વાહનોને આગ ચાંપવામાં આવી હતી, યુનિવર્સિટીમાં પોલીસ ઘૂસી હતી અને લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.
જામિયા મિલિયા યુનિવર્સિટીમાં થયેલી હિંસાને કારણે વિરોધનો વ્યાપ વધ્યો હતો.
યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર નઝમા અખ્તરે કહ્યું કે પોલીસ વિના પરવાનગી યુનિવર્સિટીમાં ઘૂસી તેના વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવશે.
દિલ્હીમાં જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ બાદ પોલીસની ભૂમિકા વિરુદ્ધ સવાલ ઊભા કર્યા છે અને તેની સામે કેટલાંય શહેરોમાં પ્રદર્શનો થયાં છે.
અલીગઢ, લખનૌ, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, અમદાવાદમાં પણ કેટલીક યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ પ્રદર્શન કરવા ઊતરી પડ્યા હતા.
અમદાવાદમાં આઈઆઈએમ ખાતે વિરોધપ્રદર્શન થયું હતું, ત્યારે મુંબઈ અને ચેન્નાઈમાં આઈઆઈટી ખાતે વિરોધ જોવા મળ્યો હતો.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, લખનૌની નદવા કૉલેજ, દિલ્હી યુનિવર્સિટી અને ચેન્નાઈની લોયેલા કૉલેજના વિદ્યાર્થીઓ જામિયામાં પોલીસની કાર્યવાહીનો વિરુદ્ધ કરી રહ્યા છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને લખનૌની નદવા કૉલેજમાં પણ પથ્થરમારો થયો હતો.