1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: રવિવાર, 23 એપ્રિલ 2023 (10:42 IST)

પંજાબનો એ ખેલાડી જેણે છેક છેલ્લી ઓવરમાં મુંબઈનું જીતનું સપનું રોળી નાખ્યું

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી બીજી મૅચ પણ અત્યંત રોમાંચક રહી.
 
મુંબઈ ઇન્ડિયન્સે ટૉસ જીતીને પંજાબ કિંગ્સને બેટિંગ કરવા માટે આમંત્રણ આપ્યું હતું. 20 ઓવરના અંતે પંજાબે આઠ વિકેટના નુકસાને 214 રનનો સ્કોર બનાવ્યો હતો.
 
આ સ્કોરનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સની ટીમે પણ સારું પ્રદર્શન કર્યું હતું.
 
મુંબઈ ઇન્ડિયન્સની ટીમે 19 ઓવરના અંત સુધી ચાર વિકેટના નુકસાને 199 રન બનાવી લીધા હતા અને છેલ્લી ઓવરમાં જીતવા માટે 16 રનની જરૂર હતી.
 
જોકે, છેલ્લી ઓવર પૂર્ણ થઈ ત્યાર સુધીમાં મુંબઈ છ વિકેટના નુકસાને 201 રન જ બનાવી શકી અને પંજાબનો રોમાંચક વિજય થયો.
 
પંજાબની આ જીતના હીરો ફાસ્ટ બૉલર અર્શદીપસિંહ રહ્યા, જેમણે મુંબઈને અંતિમ ઓવરમાં જીતવા માટે 16 રન ન કરવા દીધા.
 
અર્જુન તેંડુલકર મોંઘા પડ્યા
 
ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરનાર મુંબઈ ઇન્ડિયન્સે શરૂઆતમાં તો સારી બૉલિંગ કરી. જેમાં મોટું યોગદાન અનુભવી સ્પિનર પીયૂષ ચાવલાનું રહ્યું. તેમણે ત્રણ ઓવરમાં 15 રન આપીને બે વિકેટ ખેરવી હતી.
 
જોકે, મુંબઈ તરફથી બૉલિંગ કરવા માટે આવેલા કુલ છ બૉલર્સ પૈકી સૌથી મોંઘા બૉલર અર્જુન તેંડુલકર રહ્યા. તેમણે ત્રણ ઓવરમાં 48 રન આપ્યા હતા. સાથે જ એક વિકેટ પણ લીધી હતી.
 
અર્જુન તેંડુલકરને નાખેલી ઇનિંગની 16મી ઓવર પંજાબ માટે ગેમ ચેન્જર બનીને રહી.
 
ઓવરના પ્રથમ બૉલ પર સૅમ કરને છગ્ગો ફટકાર્યો. એ પછીનો બૉલ વાઇડ પડ્યો. ત્યાર પછીના બૉલ પર કરને ચોગ્ગો ફટકાર્યો. ત્રીજા બૉલ પર એક રન આવ્યો. પછી ચોથા બૉલ પર હરપ્રીતે ચોગ્ગો અને પાંચમા બૉલે છગ્ગો માર્યો.