શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (13:00 IST)

Crime News - સુરતમાં સિનેમા બહાર ઉભેલી યુવતીને છેડનારા અસામાજિક તત્વોને ઠપકો આપતા વૃદ્ધને મોતને ઘાટ ઉતારાયા

સુરતના પર્વતગામ પાસેના મમતા સિનેમા બહાર યુવતીની છેડતી કરતા અસામાજિક તત્વોને ઠપકો અપાયો હતો. જેથી પિતા-પુત્ર સહિત ત્રણ જણા પર હિંસક હુમલો કરી વૃદ્ધને 20 થી વધુ ઘા મારી પતાવી દેવાયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ હુમલાખોરોએ વૃદ્ધ પિતાની નજર સામે જ પુત્રને પણ અનેક ઘા મારતા મોત સામે લડી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઇજાગ્રસ્ત દીકરાએ કહ્યું હતું કે, ખબર ન હતી.નજર સામે જ પિતાને પશુની જેમ કાપતા જોઈ રુંવાટા ઉભા થઇ ગયા હતા. પણ હુમલાખોરોને દયા ન આવી.લીંબાયત પોલીસે જણાવ્યું હતું કે, ઘટના લગભગ મોડી સાંજના 7:30 વાગ્યા ના અરસા માં બની હતી. શિવાભાઈ ભોજુભાઈ નિકમ એમના દીકરા યશવંત અને મિત્ર સાથે કાપડ માર્કેટમાંથી છૂટ્યા બાદ નાસ્તો કરવા નીકળ્યા હતા. ઘર પાસે જ નાસ્તો કરતી વખતે કેટલાક અસામીજીકતત્વો એક યુવતીની છેડતી કરી રહ્યા હતા. જે બાબતે શિવાભાઈ મધ્યસ્થી કરી ઠપકો આપતા એમની પર હુમલો થયો હતો. ત્રણેય ને લાફા મારી પિતા-પુત્ર ને ઉપરા ઉપરી ઘા મરાયા હતા.હિંસક હુમલા બાદ હુમલાખોરો ભાગી ગયા હતા.

ઇજાગ્રસ્ત શિવાભાઈ અને એમના દીકરાને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ જવાતા શિવાભાઈને મૃત જાહેર કરાયા હતાં. જ્યારે યશવંતની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. હુમલાખોર 3-4 જણા હોવાનું હાલ તપાસમાં બહાર આવ્યું છે. લીંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.સંબંધીઓ એ જણાવ્યું હતું કે, કાપડ માર્કેટમાં સાડી કટીંગનું કામ કરતા શિવાભાઈ મહારાષ્ટ્રના વતની હતા. વર્ષોથી સુરતમાં રહેતા હતા. 20 વર્ષ પહેલાં પત્ની સાથે છૂટાછેડા થયા બાદ એક દીકરા સાથે પર્વતગામમાં જ રહેતા હતા. એમની નિર્મમ હત્યાને લઈ દુઃખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સુરતમાં નિર્દોષ લોકોની જ હત્યા થાય છે. અસામાજિક તત્વો હાથમાં છરા લઈને ફરી રહ્યા છે. જાહેરમાં યુવતીની છેડતી કરનારને ઠપકો આપવા બદલ શિવાભાઈ મોત મળ્યું એની જવાબદાર પોલીસ છે.