Tamil Nadu Crime - વીમા ની રકમ હડપવા માટે પિતાને 2 વાર સાંપ કરડાવ્યો, 3 કરોડ માટે માણસાઈ પણ ભૂલી ગયા 4 પુત્રો
તમિલનાડુના તિરુવલ્લુવર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પોથાથુરપેટના નલ્લાથિનીરકુલમ સ્ટ્રીટના રહેવાસી 56 વર્ષીય ગણેશનનું સાપ કરડવાથી મૃત્યુ થયું હતું. તે એક સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં લેબ આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા હતા. 22 ઓક્ટોબરની સવારે ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે તેમનું સાપ કરડવાથી તેનું મૃત્યુ થયું. તેમના પુત્રએ આ ઘટનાની જાણ પોથાથુરપેટ પોલીસને કરી.
પોલીસે કેસ નોંધ્યો અને તપાસ કરી રહી હતી. આ દરમિયાન, પરિવારે તેમના નામે લીધેલા ૩ કરોડના વીમા સામે દાવો દાખલ કર્યો. પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવેલા વિરોધાભાસી નિવેદનોને કારણે વીમા કંપનીને શંકા ગઈ. કંપનીએ ઉત્તરીય ઝોનના મહાનિરીક્ષક આસરા ગર્ગ સમક્ષ ફરિયાદ નોંધાવી. 6 ડિસેમ્બરના રોજ, આ મામલાની તપાસ માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી, અને પુત્રો દ્વારા કરવામાં આવેલ સમગ્ર કાવતરું બહાર આવ્યું હતું.
ચાર પુત્રોએ પૈસા માટે રચ્યું કાવતરું
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે ગણેશનના નામે ઘણી મોંઘી વીમા પોલિસી હતી. તે મેળવવા માટે, ગણેશનના પુત્રો, મોહનરાજ અને હરિહરને, બાલાજી (28), પ્રશાંત (35), નવીન કુમાર (28) અને દિનાકરણ (28) સાથે મળીને તેમના પિતાને સાપ કરડાવીને મારી નાખ્યા. શંકાનું બીજું ગંભીર કારણ એ હતું કે 22 ઓક્ટોબરની સવારે તેમના મોતના એક અઠવાડિયા પહેલા ગણેશનને કોબ્રાએ ડંખ માર્યો હતો. જોકે, પડોશીઓએ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા અને તેમનો જીવ બચાવ્યો. એક અઠવાડિયા પછી, તેમને ફરીથી સાપે કરડ્યા, પરંતુ આ વખતે તેમના પરિવારે તેમને હોસ્પિટલ લઈ જવામાં વિલંબ કર્યો.
પોલીસે 6 આરોપીઓની કરી ઘરપકડ
ગણેશનને બે વાર સાપ કરડ્યો હતો અને તેમના પરિવારની સારવાર પ્રત્યે ઉદાસીનતાએ શંકા જગાવી હતી. પોલીસે પુત્રોના કોલ રેકોર્ડની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે પુત્રોએ મિત્રો દ્વારા સાપની વ્યવસ્થા કરી હતી, જેનો ઉપયોગ તેઓએ ત્રણ કરોડ રૂપિયાના વીમાના પૈસા મેળવવા માટે તેમના પિતાને કરડવા અને મારી નાખવા માટે કર્યો હતો. આ કેસમાં પોલીસે બે પુત્રો સહિત છ લોકોની ધરપકડ કરી છે અને તેમને જેલ ભેગા કર્યા છે.