શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાવાઝોડું તોફાન
Written By
Last Modified: ગુરુવાર, 20 મે 2021 (17:27 IST)

રાજ્યના મહેસુલ અને કૃષિ વિભાગના અધિકારી, કર્મચારી અને જિલ્લા કલેક્ટરો તૈયાર કરી રહ્યા છે, નુક્શાનીનો આખરી રિપોર્ટ,

ગુજરાતમાં વાવાઝોડાંના કારણે  સૌથી વધુ નુકશાન કૃષિ અને ઉર્જા વિભાગને થયું છે.તેમાં પણ ગિરસોમનાથ, ભાવનગર, અમરેલી અને જુનાગઢ એમ ચાર જિલ્લામાં સૌથી વધુ તારાજી થઈ છે,રાજ્ય સરકારના પ્રાથમિક સર્વે પ્રમાણે આ કુદરતી આપત્તિથી રાજ્યને 5000 કરોડ કરતાં વધુ નુકશાન થયું હોવાનો અંદાજ છે.નુક્શાનીનો સંપૂર્ણ અંદાજ 10 થી12 દિવસમાં મળી જઈ શકે છે, આ માટે મહેસુલ, કૃષિ, ઉર્જા અને નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે
 
ગુજરાતમાં વાવાઝોડાં સાથે ભારે વરસાદને કારણે કૃષિ ક્ષેત્રને સૌથી વધુ નુકશાન થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં ઇલેક્ટ્રિકના ફિડરો અને ઉર્જા વિભાગના સાધનોને પણ નુકશાન થયું છે. 
 
જેમાં ઉર્જા સેક્ટરને 1500 કરોડ રૂપિયાનું નુકશાન થયાનો પ્રાથમિક સર્વે છે. ખેડૂતોના પાક બરબાદ થતાં આ કૃષિ સેક્ટરને 2500 થી 3000 કરોડ રૂપિયાનું નુકશાનની શકયતા છે, જેમાં  વાવાઝોડાંએ કેરીના પાકને  સૌથી વધારે હાનિ પહોંચાડી છે તેથી 100 કરોડ થી વધુનો કેરીનો પાક સંપૂર્ણ સાફ થઈ ગયો છે. સૌરાષ્ટ્રમાં 13 હજાર થી વધુ હેક્ટરમાં આંબાના વૃક્ષને વાવાઝોડાંના કારણે નુકશાન થયું છે. 
 
રાજ્ય સરકારના પ્રાથમિક સર્વેમાં 5000 કરોડ દશર્વિવામાં આવ્યા છે પરંતુ નુકશાનનો આંક વધી શકે તેવી પણ સંભાવના છે. કુદરતી આપત્તિમાં લોકોની મિલકતોને પણ હાનિ પહોંચી છે. રાજ્યમાં 60 ટકા બાગાયતી પાકો નષ્ટ પામ્યા છે. ખેતરોમાં પાણી ભરાઇ જતાં ઉભા પાકને પણ ભારે નુકશાન છે. રાજ્યના માર્ગો અને સંખ્યાબંધ કાચા મકાનોને પણ નુકશાન થયું છે. પશુપાલકોના પશુઓનું પણ નુકશાન હોવાથી તેનું સર્વેક્ષણ કરાશે. 
 
 ગુજરાત સરકાર દ્વારા નુકશાનીનોપ્રાથમિક અંદાજ તો કાઢવામાં આવ્યો છે,પરંતુ રાજ્યના મહેસૂલ વિભાગના અધિકારીઓ સર્વેક્ષણ ટીમો બનાવીને રાજ્યભરમાં નુકશાનીના સર્વેના આંકડા મેળવશે.જેમાં અલગ અલગ વિભાગો ને  થયેલા નુકશાન ના આંકડા ની સાથે જે તે જિલ્લા કલેક્ટરો પાસેથી પણ નુક્શાનીનો અંદાજ મંગાવવામાં આવશે. અને ત્યારબાદ કેન્દ્રને વધુ આર્થિક સહાય માટે દરખાસ્ત કરવામાં આવશે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ નુકશાન છે.
 
 
રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કહ્યું હતું કે ખેડૂતોને જે નુકશાન થયું છે તેનો સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એસડીઆરએફના નિયમો પ્રમાણે ખેડૂતોને સહાય ચૂકવાશે. ખેવીવાડીને થયેલા નુકશાન સંદર્ભે સર્વેક્ષણ માટે પ્રભાવિત જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે.
રાજ્યના ઉર્જા વિભાગના અધિકારીઓ પણ તેમના વિભાગના નુકશાનનો સર્વે કરી રહ્યાં છે. આ સર્વેમાં 10 થી 12 દિવસનો સમય થવાની શક્યતા છે. જો કે કૃષિ પાકને થયેલું ધોવાણ અને નુકશાનનો સર્વે ઝડપથી પૂર્ણ કરવા મુખ્યમંત્રી કક્ષા એ થી આદેશો કરવામાં આવ્યા છે, વાવાઝોડાંના કારણે ગુજરાતને થયેલા નુકશાનનો સર્વે કરવા માટે આવતા અઠવાડિયા માં કેન્દ્રની ટીમો પણ ગુજરાત આવશે.