1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. G20 શિખર સંમેલન
Written By
Last Modified: શનિવાર, 9 સપ્ટેમ્બર 2023 (09:39 IST)

ભારતના અધ્યક્ષપદે જી20 શિખરસંમેલનમાં કયા મુદ્દા કેન્દ્રમાં રહેશે?

g20
ભારતના અધ્યક્ષસ્થાને યોજાઈ રહેલા આ શિખરસંમેલનના આયોજનને ભારત સરકાર એક ઐતિહાસિક ક્ષણ ગણાવીને પાછલા ઘણા સમયથી તેનો પ્રચાર કરી રહી છે.
 
આખરે મહિનાઓથી જે સંમેલનના આયોજન અંગે ભારતના લોકો સાંભળી રહ્યા હતા તે માટે ઠરાવેલો દિવસ આવી પહોંચ્યો છે.
 
સમગ્ર દિલ્હીમાં જી20 સંમેલનના આયોજનને પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ભારતના અધ્યક્ષપણા હેઠળ યોજાનારા આ શિખરસંમેલન માટે સમગ્ર પાટનગરને સજ્જ કરાયું હોય તેવાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.
 
નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે ભારત મંડપમ્ ઇન્ટરનેશનલ ઍક્ઝિબિશન-કન્વેન્શન સેન્ટર (IECC) ખાતે 9-10 સપ્ટેમ્બર સુધીમાં કાર્યક્રમ યોજાવાનો છે.
 
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટનના વડા પ્રધાન ઋષિ સુનક અને અન્ય ઘણા દેશોના વડા અને પ્રતિનિધિઓ શિખરસંમેલનમાં ભાગ લેવા માટે આવી પહોંચ્યા છે.
 
અહીં નોંધનીય છે કે જી20 અથવા ગ્રૂપ ઑફ ટ્વેન્ટી એ એવા દેશોનું જૂથ છે જે વૈશ્વિક અર્થતંત્ર વિશેના આયોજન પર ચર્ચા કરે છે.
 
જી20માં યુરોપિયન યુનિયન અને 19 રાષ્ટ્રોનો સમાવેશ થાય છે. જેમાં આર્જેન્ટિના, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કૅનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મૅક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુકે અને અમેરિકાનો સમાવેશ થાય છે. સ્પેનને હંમેશાં મહેમાન દેશ તરીકે આમંત્રિત કરવામાં આવે છે.
 
અત્યાર સુધી આ આયોજનમાં ભાગ લેવા માટે ઘણા મહાનુભવો, રાષ્ટ્રાધ્યક્ષો ભારત આવી પહોંચ્યા છે.