ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 1 ડિસેમ્બર 2022 (16:44 IST)

ગુજરાતના મતદાન કેમ્પેઇનના બ્રાન્ડ એમ્બેસેડર કિર્તીદાન ગઢવીને મતદાન કરતા અટકાવવામાં આવ્યા, ID પ્રૂફ નહોતુ

kirtidan gadhvi
સમગ્ર ગુજરાતમાં હાલ ચૂંટણી પ્રક્રિયાએ વેગ પકડ્યો છે અને વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે જાણીતા લોકગાયક અને ગુજરાતના મતદાન કેમ્પેઇનના બ્રાન્ડ એમ્બેસેડર કિર્તીદાન ગઢવીને મતદાન કરતા અટકાવવામાં આવ્યા છે. જ્યાં તેમની પાસે આધાર કાર્ડની હાર્ડકોપી ન હોવાથી પ્રિસાઇડીંગ ઓફિસર દ્વારા તેમને મતદાન કરતા અટકાવવામાં આવ્યા હતા. આવા સમયે કિર્તીદાન ગઢવી એવી દલીલ કરી હતી કે તેની પાસે આધારકાર્ડની ડિજિટલ કોપી છે છતાં પણ તેમને પોણો કલાક સુધી બેસવું પડ્યું હતું અને એ બાદ ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે ન હોવાના કારણે ઝેરોક્ષ કોપીમાં સહી કરીને તેમણે ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી. જે બાદ માધાપર તાલુકા શાળા ખાતે તેમણે મતદાન કર્યું હતું. 
 
આ અંગે કિર્તીદાન ગઢવીએ મીડિયાને જણાવ્યું હતું કે,ભારતના પ્રધાનમંત્રી મોદી સાહેબ નિયમિત ડિજિટલ ઇન્ડિયાની વાતો કરતા રહે છે પરંતુ મતદાનની પ્રક્રિયામાં જ ડિજિટલ ઇન્ડિયાનો અમલ નથી થતો. હું 45 મિનિટથી અહીં મતદાન માટેની રાહ જોઈ રહ્યો છું. મારી પાસે આધારકાર્ડ હાર્ડકોપીમાં નથી પરંતુ ડિજિટલ કોપીમાં છે. છતાં પણ ચૂંટણી તંત્રમાં ફરજ પર તૈનાત કર્મચારીઓ મને મત આપતા અટકાવી રહ્યા છે. કારણકે મારી પાસે હાર્ડ કોપીમાં આધાર કાર્ડ નથી તો આ રીતે ભારત દેશ કઈ રીતે ડિજિટલ બનશે.વધુમાં તેમણે કહ્યું હતું કે, મારી આ અધિકારીઓને પણ અપીલ છે કે તેઓ મોદી સાહેબને આ વાત પહોંચાડે કે આમને આમ ચાલતું રહેશે તો ભારતમાં ડિજિટલ ઇન્ડિયાનું કેમ્પેઇન ક્યારેય સફળ નહીં થાય અને મારી જેવા સેલિબ્રિટીને આટલી વાર સુધી રાહ જોવી પડે તો જે નવા મતદારો છે જે જીવનમાં પ્રથમવાર મતદાન કરવા માટે આવે છે જો તેમની પાસે પણ આવું કોઈ પ્રૂફ નહીં હોય તો શું તેમણે પણ પાછું જવું? આ રીતે મતદાન ન થઈ શકે.
 
કિર્તીદાન ગઢવી ગુજરાતના મતદાન જાગૃતિ કેમ્પેઇનના બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેમની પાસે જ આઈડી પ્રૂફ ન હોવાના કારણે તેઓ મતદાન કરી શક્યા ન હતા ત્યારે હાલ લોકો દ્વારા એવી ચર્ચા થઈ રહી છે કે ચૂંટણી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને નિયમ દરેક માટે સરખા રાખવામાં આવ્યા છે પછી તે સેલિબ્રિટિ હોય કે સામાન્ય નાગરિક જો આઈડી પ્રૂફ સાથે લઈને નહીં આવે અથવા તો મતદાન માટેની ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલી આચારસંહિતાનો અમલ નહીં કરે તો તેને મતદાન કરવાનો અધિકાર પણ પ્રદાન કરવામાં નહીં આવે