1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 22 ઑગસ્ટ 2022 (08:49 IST)

એચડીએફસી બેંકે લૉન્ચ કર્યું‘વિજિલ આન્ટી’અભિયાન, છેતરપિંડીમાંથી મળશે આઝાદી

એચડીએફસી બેંકે ‘વિજિલ આન્ટી’ નામનું નવું અભિયાન લૉન્ચ કર્યું છે. આ અભિયાન સમગ્ર દેશમાં લોકોને બેંકિંગ વ્યવહારો સલામતીપૂર્વક હાથ ધરવા માટે પ્રોત્સાહિત કરશે. આ અભિયાન બેંકના ખૂબ જ પ્રચલિત ‘મુંહ બંધ રખો’ અભિયાનને પૂરક બની રહેશે, જેમાં લોકોને તેમની બેંકિંગ સંબંધિત ખાનગી માહિતી અન્યોને નહીં આપવા માટે વિનંતી કરવામાં આવે છે.
 
લોલા કુટ્ટી પાત્રને ખૂબ જ પ્રચલિત બનાવનારા અનુરાધા (અનુ) મેનન આ અભિયાનના હિમાયતીઓમાંથી એક હશે. વિજિલ આન્ટી તરીકે અનુરાધા મેનન વીડિયો, રીલ્સ, ચેટ શૉની શ્રેણી મારફતે સલામત બેંકિંગમાં શું કરવું જોઇએ અને શું ન કરવું જોઇએ તેની પર જાગૃતિ પેદા કરશે.
 
વિજિલ આન્ટી નાણાકીય છેતરપિંડી કરનારાઓની મોડસ ઓપરેન્ડી, સાઇબર ફ્રોડના પ્રયત્નોની જાણકારી મેળવવાના માર્ગો અને કેવી રીતે સલામત રહેવું તે અંગે નાગરિકોને માહિતગાર રાખી તેમને જાગૃત રહેવા માટે પ્રોત્સાહિત કરશે. તેઓ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર ચેટ શૉને હોસ્ટ કરશે તથા સેલિબ્રિટી ગેસ્ટની સાથે સાઇબર ફ્રોડની કેટલીક તાજેતરની ઘટનાઓ અંગે ચર્ચા કરશે.
 
વિજિલ આન્ટી ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક પર દબદબો ધરાવનાર એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હશે. ગ્રાહકો સાથે જોડાઈ શકાય તે માટે તેનો પોતાનો એક વૉટ્સએપ નંબર (+91 7290030000) પણ હશે. એચડીએફસી બેંકની વેબસાઇટના એક પેજ પર ફક્તને ફક્ત સાઇબર ફ્રોડ પર જાગૃતિ પેદા કરવામાં આવશે.
 
આ અભિયાનના લૉન્ચ અંગે ટિપ્પણી કરતાં એચડીએફસી બેંકના ચીફ ઇન્ફોર્મેશન સિક્યુરિટી ઑફિસર સમીર રાતોલિકરે જણાવ્યું હતું કે, ‘ધુતારાઓ ગ્રાહકોના બેંક ખાતામાંથી નાણાંની તફડંચી કરવા માટે સોશિયલ એન્જિનીયરિંગના અવનવા કીમિયા અજમાવી રહ્યાં છે. કેટલીક સેવાઓ અથવા તો બાંયધરીપૂર્વકની મદદ પૂરી પાડવાના બહાને આવા ઠગ ગ્રાહકોને તેમના પિન, ઓટીપી, પાસવર્ડ અને અન્ય ખાનગી બેંકિંગ માહિતી પૂરી પાડવા લલચાવે છે. આથી ગ્રાહકોને બેંકિંગના સલામત વ્યવહારો અપનાવવા માટે શિક્ષિત કરવા તથા છેતરપિંડી કરનારાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી વિવિધ મોડસ ઓપરેન્ડી અંગે જાગૃત કરવા જરૂરી છે. એચડીએફસી બેંક ખાતે અમે આ જાગૃતિ પેદા કરવામાં અમારી ભૂમિકાને સારી રીતે સમજીએ છીએ.’
 
એચડીએફસી બેંકના ચીફ માર્કેટિંગ ઑફિસર તથા કૉર્પોરેટ કમ્યુનિકેશન્સ, લાયેબિલિટી પ્રોડક્ટ્સ અને મેનેજ્ડ પ્રોગ્રામ્સના હેડ રવિ સંથાનમે જણાવ્યું હતું કે, ‘ઓનલાઇન વિશ્વમાં ગ્રાહકો ખાનપાનથી માંડીને પ્રવાસ અને મનોરંજન સુધીના વૈવિધ્યસભર વિષયો પર માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે વધુને વધુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો અને કન્ટેન્ટ ક્રીયેટરોની સાથે સંકળાઈ રહ્યાં છે. આથી અમે અમારો પોતાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિજિલ આન્ટીની રચના કરવાનો નિર્ણય લીધો છે, જેથી કરીને ગ્રાહકોને બેંકિંગના સલામત વ્યવહારો અંગે માહિતી પૂરી પાડી શકાય. 
 
અનુ મેનન આ ભૂમિકા માટે પર્ફેક્ટ છે, કારણ કે, લોકો સાથે જોડાવામાં તેઓ ખૂબ જ અસરકારક છે, વળી તેમની હસાવનારી હરકતો અને અનેક ભાષાઓ પરના તેમના પ્રભુત્ત્વને કારણે અમારું માનવું છે કે, તેઓ સમગ્ર દેશમાં લોકોને બેંકિંગના સલામત વ્યવહારો અપનાવવા માટે પ્રેરિત કરી શકશે. અમે એક એવા અભિયાન મારફતે ભારતની આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે, જે આ વિષય પર જાગૃતિ ફેલાવી છેતરપિંડીમાંથી આઝાદી મેળવવાને પ્રોત્સાહન આપશે.’
 
વિજિલ આન્ટીને પ્રચલિત કરવા અને લોકો તેમને સોશિયલ મીડિયા અને/અથવા વૉટ્સએપ મારફતે ફોલો કરતાં થાય તે માટે આ અભિયાન ચારથી છ અઠવાડિયા માટે ચલાવવામાં આવશે. જોકે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે વિજિલ આન્ટી ડિજિટલ ઇકોસિસ્ટમમાં સતત ઉપસ્થિત રહેશે અને તેઓ નાણાકીય છેતરપિંડી કરનારાઓની વિવિધ મોડસ ઓપરેન્ડી અને તેમનાથી કેવી રીતે બચવું જોઇએ, તે અંગે ગ્રાહકોને માહિતીગાર કરવાનું ચાલું રાખશે.