બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (10:15 IST)

શેર માર્કેટને લાગી ઓમિક્રોનની 'નજર', ગુજરાતી રોકાણકારોએ થોડી જ મિનિટોમાં ગુમાવ્યા 1 લાખ કરોડ

કોરોના વાયરસના નવા વેરિએન્ટ Omicron ની 'નજર' પૈસા પર લાગી છે. શેરબજાર પર તેની અસર એટલી ખતરનાક થઇ છે કે એક જ ઝટકામાં પૈસા પાણીમાં વહાવી દીધા. સોમવારે શેરબજાર ખુલતાની સાથે જ તે જોરદાર નીચે આવી ગયું. સેન્સેક્સ 1000 પોઈન્ટ અને નિફ્ટીમાં 200 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે બજાર સંપૂર્ણપણે હલી ગયું હતું. થોડીવારમાં જ આખું માર્કેટ જોરદાર રીતે નીચે આવી ગયું. જેના કારણે રોકાણકારોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. માર્કેટ ઓપન થયાની 10 મિનિટમાં જ 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
 
જો આપણે પહેલા અડધા કલાકમાં બજાર પર નજર કરીએ તો સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. સેન્સેક્સ લાલ નિશાન સાથે 1076.46 પોઈન્ટ અથવા 1.89 ટકા ઘટીને 55,935.28 પર ટ્રેડ થયો હતો. તે જ સમયે, NSE નો નિફ્ટી 322.30 પોઈન્ટ અથવા 1.9 ટકાની નબળાઈ સાથે 16,662.90 પર હતો. સવારે 11:30 વાગ્યા પછી, BSE સેન્સેક્સ લગભગ 1,400 પોઈન્ટ તૂટ્યો. તે જ સમયે, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 11.31 લાખ કરોડ ઘટીને રૂ. 252.72 લાખ કરોડ થયું હતું.
 
પ્રી-ઓપન સેશનમાં સ્થાનિક બજારોમાં 0.50 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. જેમ જેમ સત્ર ખુલ્યું તેમ, BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી બંને એક ટકાથી વધુ સરકી ગયા. સવારે 10:30 વાગ્યા સુધીમાં આ ઘટાડો લગભગ અઢી ટકા સુધી પહોંચી ગયો હતો. બજારમાં ચારેબાજુ આક્રોશનો માહોલ હતો. સેન્સેક્સના 30માંથી 29 શેરોમાં મોટો ઘટાડો નોંધાયો હતો, આ ઘટાડામાં રોકાણકારોએ ટ્રેડિંગની થોડી જ મિનિટોમાં હજારો કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.
 
થોડીવારમાં કરોડોનું નુકસાન થતાં રોકાણકારોમાં નિરાશાનું વાતાવરણ છે. શેરબજારના જાણકારોના મતે શેરબજાર તૂટતાં સોમવારે ગુજરાતી રોકાણકારોએ અંદાજે રૂ. 1 લાખ કરોડ ગુમાવ્યા છે. ગુજરાતની અદાણી, ટોરેન્ટ, ઝાયડસ, અરવિંદ, ઈન્ફિબીમ સહિતની કંપનીઓના સ્ટોક્સમાં પણ 9% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
 
ભારતીય સ્ટોક માર્કેટમાં ગુજરાતીઓની હિસ્સેદારી 10%ની આસપાસ છે. આજે સોમવારે માર્કેટ ક્રેશ થતાં માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 9.50 લાખ કરોડનું ધોવાણ થયું છે, એ હિસાબે ગુજરાતી રોકાણકારોએ અંદાજે રૂ. 80,000 કરોડથી રૂ. 1 લાખ કરોડ ગુમાવ્યા હોઈ શકે છે. ભારતીય શેરબજારમાં 1 કરોડથી વધુ રોકાણકારો ગુજરાતીમાં છે.
 
બજારના જાણકારોના મતે બજારમાં વધુ ઉછાળો આવવાની શક્યતા છે. કારણ કે યુરોપિયન દેશોમાં ઓમિક્રોનનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. બ્રિટન, જર્મની સહિત યુરોપના ઘણા દેશોમાં ફરી હજારોની સંખ્યામાં કોરોના સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. તેની સીધી અસર વૈશ્વિક અને સ્થાનિક બજાર પર જોવા મળશે.