શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

હેલ્થ કેર : સતત અનિદ્રા ડાયાબિટિસનું લક્ષણ હોઈ શકે

જે લોકો રાતમાં સતત પડખાં બદલતા રહી ઊંઘ આવવાની રાહ જોયા કરે છે તેમનામાં ડાયાબીટિઝ અને હૃદય સંબંધી રોગોનું જોખમ છગણું વધુ હોય છે. નવા સંશોધન અનુસાર ત્રણ દિવસ સતત અનિંદ્રા બાદ ડાયાબીટિઝના લક્ષણો ઉત્પન્ન થવાનું શરૂ થઇ જાય છે. 'નેચર જિનેટિક્સ'માં પ્રકાશિત આ અંગેનું નવું સંશોધન એ સંશોધનોની પુષ્ટિ કરે છે જેમાં જણાવવામાં આવ્યું હતું કે નાઇટ શિફ્ટમાં કામ કરનારા લોકોમાં ડાયાબીટિઝ અને હૃદય સંબંધી રોગોની સંભાવના વધુ હોય છે.

તાજેતરના સંશોધનમાં 20 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. વૈજ્ઞાનિકો અનુસાર એમટી-2 નામથી ઓળખાતું ફૉલ્ટી પ્રોટીન અનિયમિત દિનચર્યા દરમિયાન ઇન્સ્યુલિન હોર્મોન રિલિઝ કરે છે. આનાથી બ્લડ શુગરનું સ્તર બગડી જાય છે અને ડાયાબીટિઝનું જોખમ સર્જાય છે. લંડનની ઇમ્પીરિયલ કોલેજના પ્રોફેસર ફીલિપ ફ્રોગુયલ જણાવે છે કે બ્લડ શુગરનું સ્તર એ પ્રક્રિયાઓમાં સામેલ છે જે આપણા શરીરની બાયોલોજીકલ ક્લોકથી નિયંત્રિત થાય છે.

યુકેમાં ડાયરેક્ટર ઓફ રિસર્ચ ડાયાબીટિઝ ડૉ. લેન ફ્રેમ કહે છે આ પ્રકારના જિનેટિક અભ્યાસ એ જાણકારી મેળવવામાં બહુ ફાયદાકારક છે કે કોઇ વ્યક્તિના જિનેટિક્સ કઇ રીતે તેનામાં ડાયાબીટિઝ ટાઇપ-2નું જોખમ પેદા કરે છે. એ જાણવું પણ જરૂરી છે કે જિનેટિક્સ ફેરફારો સિવાય જીવનશૈલી પણ જોખમી સ્થિતિ સર્જી શકે છે. બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરનાર ઇન્સ્યુલિન મેલાટોનીન દ્વારા નિયમિત કરાય છે. સાથે શરીરની ઊંઘવા અને જાગવાની પ્રક્રિયામાં પણ મેલાટોનીનનું યોગદાન મહત્વનું હોય છે.