મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 6 ફેબ્રુઆરી 2023 (12:06 IST)

Live: ભૂકંપથી તુર્કી અને સીરિયામાં મોટી તબાહી, 95થી વધુ લોકોના મરવાના સમાચાર, 7.8 ની તીવ્રતા કેટલી શક્તિશાળી હોય છે આવો સમજો

Turkey
તુર્કીમાં સોમવારે સવારે સતત ભૂકંપના બે શક્તિશાળી ઝાટકા આવ્યા છે. ત્યારબાદ તુર્કી સરકારે કટોકટી લાદવાની જાહેરાત કરી છે. બીબીસી તુર્કી સેવાના સંવાદદાતાઓએ જણાવ્યું હતું કે, ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં ઇમારતોને ભારે નુકસાન થયું છે. અમેરિકી ભૂગર્ભીય સરવે ‘યૂએસજીએસ’ અનુસાર, ભૂકંપનો પ્રથમ આંચકો સીરિયાની સરહદ નજીક ગાજિએનટેપમાં કહમાનમારશ પાસે અનુભવાયો હતો. યૂએસજીએસ અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 7.8 માપવામાં આવી છે.

 
સમાચાર એજન્સી એએફપી અનુસાર, ભૂકંપનો પ્રથમ આંચકો સ્થાનિક સમયાનુસાર સવારે 4.17 કલાકે આવ્યો હતો. તેની થોડી જ ક્ષણો બાદ ભૂકંપનો બીજો આંચકો મધ્ય તુર્કીમાં અનુભવાયો હતો. ભૂકંપના આંચકા તુર્કીની રાજધાની અંકારા અને અન્ય શહેરો સહિત લેબનાન, સીરિયા, સાઇપ્રસમાં પણ અનુભવાયા છે.
ન્યુઝ એંજસી એપી મુજબ બંને દેશોમાં ભૂકંપથી લગભગ 200થી વધુ લોકોના મરવાના સમાચાર છે. બોર્ડર પર બંને દેશોના વિસ્તારોમાં મોટી તબાહીના સમાચાર છે. તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ ઈરદૂગાને ટ્વીટ કરી જણાવ્યુ કે ભૂક્ંપથી પ્રભાવિત વિસ્તારોમાં રેસ્ક્યુ અભિયાન ચાલુ છે. તુર્કીમાં ઓછામાં ઓછા 6 વખત ઝડપી ભૂકંપના ઝટકા અનુભવાયા છે.  ઈરદૂગાને લોકોને અપીલ કરીને કહ્યુ છે કે તેઓ ક્ષતિગ્રસ્ત ઈમારતોમાં પ્રવેશ ન કરે. 
 
ઝડપથી વધી રહ્યો છે મૃત્યુઆંક
 
તુર્કીના ગૃહમંત્રી સુલેમાન શોયલૂએ કહ્યું છે કે, “ભૂકંપનો મોટી અસર દેશના 10 શહેરો પર પડી છે. જેમાં કહમાનમારશ, હૅટે, ગાઝિએનટેપ, ઓસ્માનિયે, અદિયામાન, સનલિઉર્ફા, મલેટિયા, ઉદાના, દિયારબાકિએર અને કિલિસ છે.”
 
ભૂકંપ બાદ મળેલી માહિતી અનુસાર, તુર્કી અને તેના પડોશી સીરિયામાં આના કારણે 120થી વધુ લોકોનાં મોત થયાં છે.અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુનો આ આંકડો ઝડપથી વધી રહ્યો છે. તુર્કીની ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ એજન્સી એએફએડીએ જણાવ્યું છે કે, ભૂકંપના કારણે દેશમાં અત્યાર સુધીમાં 76 લોકોનાં મોત થયાં છે અને 440 લોકો ઘાયલ થયા છે.
 
સીરિયાના સરકારી મીડિયાએ અધિકારીઓને ટાંકીને કહ્યું કે, અત્યાર સુધીમાં 42 લોકોનાં મોત થયાં છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે.અલેપ્પોમાં મોટી સંખ્યામાં ઈમારતો ધરાશાયી થવાના સમાચાર પણ છે.
સીરિયનના મલેટિયા શહેરના ગવર્નરનું કહેવું છે કે, ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 23 લોકોનાં મોત થયાં છે.તેમનું કહેવું છે કે શહેરમાં 42 લોકો ઘાયલ થયા છે અને લગભગ 140 ઈમારતોને નુકસાન થયું છે.
ઉસ્માનિયે શહેરના ગવર્નરે પાંચ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.તેની સાથે સાનલીઉર્ફામાં 17 અને દિયારબાકીરમાં છ લોકોનાં મોતના સમાચાર છે.
 
10 મિનિટ પછી ફરી બીજીવાર આવ્યો ભૂકંપ 
 
મઘ્ય તુર્કીમાં સોમવારે વહેલી સવારે 7.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ત્યારબાદ એક વધુ શક્તિશાળી ભૂકંપ આવ્યો. વિશેષજ્ઞ મુજબ પહેલા ભૂકંપ પછી લગભગ 10 મિનિટ પછી ફરી 6.7 તીવ્રતાનો ઝડપી ભૂકંપ આવ્યો. જે માહિતી સામે આવી છે તેના મુજબ આ શક્તિશાળી ભૂકંપને કારણે અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ. સેન્લિઉર્ફા શહેરના મેયરે જણાવ્યુ કે શક્તિશાળી ભૂકંપને કારણે 16 ઈમારતો ફસકાઈ પડી. 
 
તેજ ભૂકંપથી લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. ભૂકંપ એક મુખ્ય શહેર અને પ્રાંતીય રાજધાની ગજિયાંટેપથી લગભગ 33 કિલોમીટર દૂર કેન્દ્રિત હતી. આ નૂર્દગી શહેરથી લગભગ 26 કિલોમીટર (16 મીલ) દૂર હતી. યૂએસ જિયોલોજિકલ સર્વેના મુજબ, ભૂકંપનુ કેન્દ્ર 18 કિલોમીટર (11 મીલ)ના ઊંડાણ પર હતુ. 
 
 7.8 ની તીવ્રતા કેટલી શક્તિશાળી હોય છે આવો સમજો 
 
 0 થી 1.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવતા ફ ક્ત સીજ્મોગ્રાફ દ્વારા જ જાણ થાય છે. 
2 થી 2.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવતા સાધારણ કંપન થાય છે. 
 3 થી 3.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવતા કોઈ ટ્રક તમારા નિકટથી પસાર થાય એવી અસર થાય છે. 
 4 થી 4.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવતા બારીઓ તૂટી શકે છે. દિવાલો પર ટંગાયેલી ફ્રેમ પડી શકે છે. 
 5 થી 5.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવતા ફર્નીચર હલી શકે છે. 
 6 થી 6.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવતા ઈમારતોનો પાયો હલી શકે છે. ઉપરના માળને નુકશાન થઈ શકે છે. 
 7 થી 7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવતા બિલ્ડિંગો પડી જાય છે. જમીનની અંદરના પાઈપ ફાટી જાય છે. 
 8 થી 8.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવતા બિલ્ડિંગો સહિત મોટા પુલ પણ પડી જાય છે. 
 
9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવતા સંપૂર્ણ તબાહી. કોઈ મેદાનમાં ઉભુ હોય તો તેને ધરતી લહેરાતી દેખાશે. સમુદ્ર નજીક હોય તો સુનામી. ભૂકંપમાં રિક્ટર માપદંડનો દરેક સ્કેલ અગાઉના સ્કેલના મુકાબલામાં 10 ગણો તાકતવર હોય છે.