1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 29 નવેમ્બર 2021 (08:42 IST)

Omicron Alert ઓમિક્રૉન વૅરિયન્ટની દહેશત : ન્યૂયૉર્કમાં ઇમર્જન્સી લદાઈ; ઇઝરાયલ, યુરોપમાં શું છે હાલ?

ભારતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના સંક્રમણના આઠ હજાર 774 નવા કેસ જોવા મળ્યા છે. ભારત સહિત ઘણા દેશોમાં માંડ સ્થિતિ સામાન્ય થઈ રહી હતી, ત્યાં કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ ઓમિક્રૉને દેખા દીધી, જેણે ફરી ચિંતા વધારી દીધી છે.
 
ઇઝરાયલે વિદેશીઓના આગમન પર બે સપ્તાહનો પ્રતિબંધ લાદી દીધો છે, જ્યારે યુરોપના ઘણા દેશોએ દક્ષિણ આફ્રિકા અને તેના પાડોશી દેશો પર પ્રવાસના પ્રતિબંધો લાદી દીધા છે.
 
વિદેશથી આવતા ઇઝરાયલના નાગરિકોને ક્વોરૅન્ટીન કરવામાં આવશે. કોરોનાના કેસ પર નજર રાખવા માટે ઇઝરાયલ સરકારે ફોન ટ્રૅકિંગનો નિર્ણય લીધો છે. આ પદ્ધતિને લઈને વિવાદ સર્જાયો છે.
 
ન્યૂયૉર્કમાં ઇમર્જન્સી
 
અહેવાલો પ્રમાણે, ન્યૂયોર્કના ગવર્નરે વિશ્વભરમાં ફેલાઈ રહેલા નવા ઓમિક્રૉન વૅરિયન્ટને પગલે કટોકટીની જાહેરાત કરી છે. ઓમિક્રૉન વૅરિયન્ટની સામે કટોકટીની સ્થિતિ જાહેર કરનાર ન્યૂયૉર્ક પ્રથમ છે.
 
ન્યૂયૉર્કના ગવર્નર કેથી હોચુલે શુક્રવારે 15 જાન્યુઆરી સુધીની કટોકટીની જાહેરાતના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા.
 
ઓમિક્રૉન વેરિયન્ટ કે જે અગાઉ 'B.1.1.529' તરીકે ઓળખાતો હતો, તેના પગલે યુએસમાં આરોગ્ય અધિકારીઓ ચિંતામાં મુકાયા છે. આ વૅરિયન્ટ દક્ષિણ આફ્રિકા, યુરોપ અને એશિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
 
રાષ્ટ્રપતિ જો બાઇડને બોત્સ્વાના, દક્ષિણ આફ્રિકા અને અન્ય છ આફ્રિકન દેશો પર નવા પ્રવાસ સંલગ્ન પ્રતિબંધો લાદ્યા છે અને સાથે જ અમેરિકનોને રસીના બૂસ્ટર ડોઝ લેવા વિનંતી કરી છે.
 
ગયા વર્ષે માર્ચ અને એપ્રિલમાં ન્યૂયૉર્કમાં દરરોજ 1,000ની આસપાસ મૃત્યુ થઈ રહ્યાં હતાં અને શબગૃહોમાં જગ્યા ન હોવાથી રેફ્રિજરેટેડ ટ્રૅલરમાં મૃતદેહોને રાખવાની નોબત આવી હતી.
 
ડઝનબંધ મુસાફરોના કોરોના ટેસ્ટ પૉઝિટિવ

ડચ અધિકારીના કહેવા પ્રમાણે, દક્ષિણ આફ્રિકાથી બે ફ્લાઇટમાં એમસ્ટડૅમ પહોંચેલા 61 લોકોના કોવિડ-19ના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે.

જેમાંથી કેટલાક સંક્રમિતોમાં નવો ઓમિક્રૉન વૅરિયન્ટ મળવાની સંભાવના છે. તેમને શિફોલ ઍરપૉર્ટ નજીકની એક હોટલમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

ફ્લાઇટમાં આવેલા 600 મુસાફરોનું કોરોના પરીક્ષણ ધરવામાં આવ્યું હતું.

જર્મની, યુકે સહિતના કેટલાક અન્ય યુરોપિયન દેશોએ પણ ઓમિક્રૉન વેરિયન્ટના કેસની પુષ્ટિ કરી છે.

જેમના રિપોર્ટ નૅગેટિવ છે, તેમને પાંચ દિવસ માટે ઘરમાં આઇસોલેટ રાખવામાં આવશે અને આગળના પરીક્ષણો કરવામાં આવશે.