1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મોદી જો વડાપ્રધાન બને તો મુસ્લિમોને કોઈ વાંધો નથી - વસ્તાનવી

P.R
ત્રણ દિવસ ચાલેલ ભાજપની કાર્યકારિણી બેઠકમાં તો મોદીના ગુણગાન થયા જ છે, પણ હવે મુસ્લિમ લોકો પણ મોદીને પીએમ બનાવવા તૈયાર છે. જે બતાવે છે કે મોદીએ ગુજરાતમાં કરેલા વિકાસ કાર્યોનો કોઈ જવાબ નથી. ભારતીય જનતા ઈચ્છે છે કે સમગ્ર ભારતનો વિકાસ ગુજરાત જેવો થાય. દારૂલ ઉલુમ દેવબંધના પૂર્વ વાઈસ ચાન્સેલર ગુલામ મોહમ્મદ વસ્તાનવીએ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે ચૂંટે તો મુસ્લિમોને કોઈ વાંધો નહીં હોય.

વસ્તાનવીએ કહ્યું હતું કે જો ભારતીય જનતા મોદીને વડાપ્રધાન બનાવે તો અમારા તરફથી કોઈ ઈનકાર નહીં હોય. રવિવારે ગુજરાત સાર્વજનિક વેલફેર ટ્રસ્ટ દ્વારા 162 મુસ્લિમ યુગલોના સામૂહિક નિકાહ કાર્યક્રમમાં વસ્તાનવીએ હાજરી આપી હતી. એ સમયે એક સવાલના જવાબમાં તેઓએ આ વાત કરી હતી.

વિરોધી પક્ષોએ કાયમ મોદીને 2002ના રમખાણોને લઈને ઘેર્યા છે પણ ગુજરાતમાં મુસ્લિમોની સ્થિતિના જવાબમાં વસ્તાનવીએ કહ્યું હતું કે છેલ્લાં 10 વર્ષથી અહીં ભાજપ શાસન કરે છે. એ મુસ્લિમોના ઉત્કર્ષ માટે કામ કરશે તો મુસ્લિમો તેમને સમર્થન આપશે. અને નહી કરે તો તેઓ તેમનાથી દૂર થઈ જશે.

વાસ્તવમાં સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવ દ્વારા લોકસભામાં વ્યક્ત કરાયેલા વિચારોને સમર્થન આપતાં વસ્તાનવીએ કહ્યું હતું કે જો ભાજપ પોતાનો એજન્ડા બદલે, પોતાની વિચારધારામાં પરિવર્તન કરે અને ધર્મનિરપેક્ષ માર્ગ અપનાવે છે તો લોકો તેમને સમર્થન ન આપે એવું કોઈ કારણ નહીં હોય.

ઉલ્લેખનીય છે કે 2011માં વસ્તાનવી મોદીને લઈને વિવાદોમાં ઘેરાયેલા હતા. ત્યારે તેઓએ ગુજરાતમાં વિકાસની લહેર દરમિયાન મુસ્લિમોની સ્થિતિમાં સુધારો આવ્યાની વાત કરી હતી. આ વિવાદના કારણે 24 જુલાઈ 2011ના રોજ તેઓએ દારૂલ ઉલુમ દેવબંધના વાઈસ ચાન્સેલરપદેથી રાજીનામું આપવું પડ્યું હતું.