રાહુલની ચેતવણી - બળવાખોર માટે પક્ષના દરવાજા બંધ છે
P.R
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કહ્યુ કે જે લોકોએ પાર્ટી છોડીને અધિકૃત ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી લડી છે તેમના માટે કોંગ્રેસ પાર્ટીના દરવાજા હવે બંધ થઈ ગયા છે. પક્ષ ઉપાધ્યક્ષ બન્યા પછી મુંબઈની મુલાકાતમાં કોંગ્રેસના નેતાઓ તેમજ પદાધિકારીઓ સાથે પોતાની વાતચીતમાં રાહુલે કહ્યુ કે તેઓ પરિણામજનક ચર્ચા માટે મળવા આવ્યા છે.
એવું પણ જણાવાયું હતું કે રાહુલે બળવાખોરોને ફરીથી પાર્ટીમાં સામેલ કરવાની જૂની પરંપરા ખતમ કરવાનો સંકલ્પ લેતાં કહ્યું હતું કે અગાઉ તેમના માટે દરવાજા ખુલ્લા રહેતા હતા. પણ હવેથી એવું શક્ય નહીં બને. આ બેઠકમાં મીડિયાને અનુમતી આપવામાં આવી નથી. તેઓએ કહ્યું કે આ નિયમો મારા સહિત પક્ષના અન્ય તમામ કાર્યકર્તાઓ માટે લાગુ થશે. આ ઉપરાંત મેધાવી કાર્યકર્તાઓના સશક્તિકરણ પર તેઓ ખાસ ભાર મૂકશે.
આ ઉપરાંત રાહુલે એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી વિલંબિત મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષની નિયુક્તિના મુદ્દાનો હલ લાવવા માટે પણ પહેલ કરશે.