શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય લેખ
Written By
Last Updated : મંગળવાર, 6 જૂન 2023 (12:10 IST)

World Food Safety Day: દુનિયાની કોઈ પણ બિમારીથી બચાવી શકે છે આપણી વારંવાર હાથ ધોવાની ટેવ

World food safety- ૭ જૂન, વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે તરીકે ઉજવવામાં આવે છે. યુનાઈટેડ નેશનના એક સર્વે અનુસાર દર વર્ષે આશરે ૬ મીલિયન લોકો ફૂડબોર્ન બીમારીથી પીડાય છે. તેથી યૂએન તરફથી ૭ જૂનના રોજ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો જેનો સ્વિકાર થયો. વર્લ્ડ ફૂડ સેફ્ટી ડેની ઉજવણીનો હેતુ દરેક નાગરિકોને પોતાના સ્વાસ્થ્યને લઈને જાગૃત કરવા માટેનો છે. ૭ જૂન ૨૦૧૯થી “વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે” ઉજવવામાં આવી રહ્યો છે.
 
રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ વધુમાં જણાવ્યું હતુ કે, આજે જયારે વિશ્વ આખામાં કોરોના સામે લડતાં લડતાં જનજીવન પુનઃ ધબકતું થયુ છે એવા સમયે આપણે કેવો ખોરાક ખાઈએ છીએ અને શું કાળજી રાખવી જોઈએ એ બાબત ખુબ જ મહત્વનું બની જાય છે. એક અભ્યાસ મુજબ આપણી એક સામાન્ય આદત દુનિયાની કોઈ પણ બિમારીથી આપણને બચાવી શકે છે અને એ આદત છે વારંવાર હાથ ધોવાની. ત્યારે હવે કોરોના સામે લડવા માટે પણ વારંવાર હાથ ધોવાની આદત કેળવવી આપણા સૌ માટે અનિવાર્ય બની જાય છે.
 
આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક પોષણયુક્ત છે કે નહીં, સ્વચ્છ છે કે નહીં, બૅક્ટેરિયા, વાઇરસ કે બીજાં જંતુઓથી મુક્ત છે કે નહીં, કેમિકલ્સ કે ઝેરી તત્વોથી મુક્ત છે કે નહીં એ જોવું અને જાણવું ખૂબ જ જરૂરી છે. જો ખોરાક શુદ્ધ હશે તો જ વ્યક્તિનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે. ખોરાક જ્યારે અશુદ્ધ હોય, ભેળસેળયુક્ત હોય, સ્વચ્છ અને તાજો ન હોય ત્યારે વ્યક્તિને સામાન્ય ઝાડા-ઊલટીથી લઈને કૅન્સર સુધીની બીમારીઓ થઈ શકે છે. ખોરાક દ્વારા જે રોગો થાય છે એને ત્રણ ભાગોમાં વિભાજીત કરી શકાય છે. જેમાં બૅક્ટેરિયાથી થતા રોગો, વાઇરસથી થતા રોગો અને પૅરૅસાઇટ એટલે કે જંતુથી થતા રોગોનો સમાવેશ થાય છે.
 
રાજ્યનાં નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે માટે રાજ્ય સરકાર હર હંમેશ માટે કટિબદ્ધ છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અમલમાં આવ્યો ત્યારથી તંત્ર દ્વારા ખાદ્ય સલામતિ ક્ષેત્રે અનેક અસરકારક પગલાઓ લેવામાં આવ્યા છે.
 
દેશની સૌ પ્રથમ “ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ” તરીકેનું સન્માન કાંકરીયા, અમદાવાદને મળ્યું છે. ત્યારબાદ રાજ્યની અન્ય ૮ એમ ગુજરાતની કુલ ૯ સ્ટ્રીટને “ક્લિન સ્ટ્રીટ ફૂડ હબ”નાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે, જે ગુજરાત જ નહિ, સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ બાબત છે. ગત વર્ષે દિલ્હી ખાતે યોજાયેલ વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ની ઉજવણી અંતર્ગત દરેક રાજ્યમાં થતા ફૂડ એકમના અમલવારી બાબતે ભારત સરકાર દ્વારા ફૂડ એકમ ઈન્ડેક્સ નક્કી કરવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર દેશમાં ગુજરાતે બીજો ક્રમાંક મેળવ્યો હતો.
 
FSSAI દ્વારા પ્રેરીત “ઈટ રાઈટ મુવમેન્ટ” કે જે અલગ અલગ જગ્યાઓ પર ખોરાકની ગુણવત્તા અંગેની જાગૃતિ તેમજ ખાતરી આધારિત ઓડીટ કરી અને યોગ્ય ચકાસણી કર્યા બાદ આપવામાં આવે છે, તેમાં ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૧૯માં કુલ પાંચ ઈટ રાઈટ કેમ્પસ તેમજ વડોદરા રેલ્વેસ્ટેશનને “ઈટ રાઈટ સ્ટેશન” તરીકે એવોર્ડ આપવામાં આવ્યા છે. 
 
BHOG (Blissful Hygienic Offering to God)એ FSSAIની એક એવી પહેલ છે. જેના અંતર્ગત ધાર્મિક સ્થળો ઉપર પિરસવામાં આવતો પ્રસાદ તેમજ અન્ય ખોરાક અંગેની ગુણવત્તાની તપાસ કરી ઓડીટ દ્વારા યોગ્ય ગુણ આપવામાં આવે છે. આ પહેલ અંતર્ગત રાજ્યના કુલ ૩૪ જેટલા ધાર્મિક સ્થળોમાં માર્ગદર્શિકા મુજબનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું અને તેને સંલગ્ન સર્ટીફીકેટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
 
રાજ્યમાં SNF(Safe and Nutritious Food) પહેલ અંતર્ગત શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સલામત અને પોષણયુક્ત આહાર મળી રહે  તે માટે કુલ ૧૪૫ જેટલી શાળાઓમાં ચાલતી કેન્ટીનમાં તાલીમ આપવામાં આવી છે. જેના ભાગરૂપે વિદ્યાર્થીઓને પણ માહિતી તથા યોગ્ય માર્ગદર્શન હેતુ યલો બુક (Yellow Book) નામક માર્ગદર્શિકા આપવામાં આવે છે. આ સિવાય FSSAI દ્વારા પ્રેરીત DART BOOK તથા PINK BOOK જેવી માહિતસભર પુસ્તિકાઓનું પણ ગુજરાતીમાં અનુવાદ કરી વિના મુલ્યે વિતરણ કરવામાં આવે છે. જેથી લોકોમાં ખોરાક અંગેની સલામતી અને સ્વચ્છ આહાર માટે જાગૃતતા લાવી શકાય.
 
ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ પ્રોજેક્ટ દ્વારારાજ્યમાં દુર્ગમ વિસ્તારો તથા અલગ અલગ સ્થળો પર જઇ ચેકીંગ અને એનાલીસીસ કરી આવા સ્થળો પર પણ દેખરેખ રાખવી સરળ બની છે. આ અંતર્ગત મોબાઇલ પ્રયોગશાળા સમકક્ષ સુવિધાઓથી સજ્જ વાહન અલગ અલગ સ્થળો પર પહોંચી સર્વેલેન્સ તથા લોકોમાં જાગૃતિ લાવવા પ્રયત્નશીલ છે.
 
આ ઉપરાંત વપરાય ગયેલા તથા બળી ગયેલા એવા ખાદ્ય તેલમાંથી બાયો ડીઝલ બનાવવા શરૂ થયેલી અનોખી પહેલ RUCO (Re Purpose Used Cooking Oil)માં પણ ૫,૧૧,૩૪૧ કિગ્રા તેલનો જથ્થો જમા કરાવી ગુજરાત અગ્રેસર બન્યુછે. તંત્ર દ્વારા સબસ્ટાન્ડર્ડ અથવા તો મિસબ્રાન્ડેડ નમુનાંઓ માટે દાખલ કરવામાં એડ્જ્યુડીકેટીંગ અરજીઓના કિસ્સાઓમાં આજ દીન સુધી અંદાજીત રૂ. ૧૬ કરોડથી પણ વધુ રકમનો દંડ વસુલવામાં આવ્યો છે.