બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2020 (07:40 IST)

દિલ્હી: બેકાબુ બસ અનેક વાહનો સાથે ટકરાઈ, 7 ને કચડ્યા, બાળક સહિત 3 ના મોત

યમુનાપરના નંદ નગરી વિસ્તારમાં બસ ડેપોની સામે ગુરુવારે રાત્રે લગભગ 10.45 વાગ્યે એક બેકાબુ ક્લસ્ટર બસે સાત વાહનોને ટક્કર મારતા સાત લોકોને કચડી નાખ્યા હતા.  આ દુર્ઘટનામાં 12 વર્ષીય કર્ણ નામનો બાળક, 22 વર્ષિય રવિન્દ્ર નામનો એક યુવક અને એક અજ્ઞાત  50 વર્ષીય વ્યક્તિ  સહિત ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક મહિલા સહિત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં ચારેયને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું બતાવ્યુ છે. 
 
બીજી તરફ, અકસ્માત બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ બસની તોડફોડ કરી હતી. એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ પર હુમલો કરીને  રસ્તો અવરોધ્યો હતો. પરિસ્થિતિને બેકાબૂ જોઇને ઘટના સ્થળ પર અનેક વરિષ્ઠ ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે આવી પહોંચ્યા છે અને પરિસ્થિતિને કાબૂમાં રાખવાની કોશિશમાં છે. ટોળાને કાબૂમાં લેવા પોલીસે હળવા બળનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. સમાચાર લખાય ત્યાં સુધી હંગામો ચાલુ હતો અને પોલીસ લોકોને કાબૂમાં રાખવામાં વ્યસ્ત હતી.
 
સ્થળ ઉપર હાજર વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યાર સુધીની માહિતી મુજબ, ઝડપથી નીકળતી બેકાબુ બસ નંદ નાગરી ફ્લાયઓવરથી ખજુરી તરફ જઇ રહી હતી. સ્પીડને કારણે ડ્રાઇવરે બસનું સંતુલન ગુમાવ્યું હતું અને તેણે પહેલા ટાટા-407 વાહનને ટક્કર મારી, ત્યારબાદ બીજા ઘણા વાહનોને ટક્કર મારી હતી અને ફેરિયા અને રાહદારીઓ સહિત સાત જેટલા લોકોને કચડી નાખ્યા હતા, જેમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. અકસ્માતનો ભોગ બનેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધી શકે છે. પોલીસે આ સંદર્ભે બેદરકારીથી વાહન ચલાવવાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.