1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 15 ડિસેમ્બર 2022 (11:50 IST)

બિહાર: છપરામાં ઝેરી દારુ પીવાથી 30 લોકોનાં મોત

બિહારના છપરામાં ઝેરીલો દારૂ પીવાના કારણે ઘણાં લોકોના મૃત્યુ થયા છે. સારણના ડીએમએ બીબીસીને જણાવ્યું હતું કે, આ મૃત્યુ બાદ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
 
સારણના એસપી સંતોષ કુમારે બીબીસીને જણાવ્યું હતું કે, “પોલીસ એ વિસ્તારના લોકોને કહી રહી છે કે જો કોઈ વ્યક્તિ અન્ય કોઈ જગ્યાએ સારવાર કરાવી રહ્યા છે તો તેઓ સામે આવે. અત્યાર સુધી દસ મૃતકોના પરીવારે દારૂ પીવાની વાતનો સ્વીકાર કર્યો છે. અમે ટીમ બનાવીને તપાસ કરી રહ્યા છીએ અને લોકોને જાગૃત પણ કરી રહ્યા છીએ. સમગ્ર છપરામાં તપાસ અભિયાન ચલાવી રહ્યા છે, ખાસ કરીને પ્રભાવિત વિસ્તારમાં તપાસ ચાલુ છે.”
 
આ મૃત્યુ બાદ સ્થાનિક લોકોમાં પણ ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે. બિહારમાં વિપક્ષ પાર્ટીઓ આ મૃત્યુનું કારણ ઝેરીલા દારૂનું સેવન ગણાવી રહી છે. આ મુદ્દો બિહારથી દિલ્હી સુધી ચર્ચાઈ રહ્યો છે.
 
એનડીટીવીના અહેવાલ અનુસાર, બિહારના છપરામાં કથિત રીતે ઝેરીલો દારુ પીવાથી પીવાથી 14 ડિસેમ્બરે શરૂઆતમાં મૃતકોની સંખ્યા 6 હતી, ત્યારબાદ સાંજ સુધી મૃત્યુ આંક વધીને 24 થઈ ગયો હતો.
 
ગુરુવારે સવાર સુધી મૃત્યુ પામનારની સંખ્યા 30 થઈ ગઈ છે.
 
આ મામલો છપરા સારણના ઇસુઆપુર પોલીસસ્ટેશન વિસ્તારનો છે. સારણના ડીએમએ બીબીસીને કહ્યું હતું કે, હજુ પણ ઘણા લોકો હૉસ્પિટલમાં દાખલ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, કેટલાક લોકો સ્થાનિક સ્તરે સારવાર કરાવી રહ્યા છે.
 
ઉલ્લેખનીય છે કે, બિહારમાં દારૂબંધી છે. અહીં દારૂની ખરીદી-વેચાણ અને સેવન ગેરકાનૂની છે.