સોનાની આયાતમાં 58 ટકાનો ભારે ઘટાડો, ચાંદીની આયાત 127 ટકા વધી
આ વર્ષે ઓગસ્ટ મહિનામાં સોનાની આયાતમાં મોટો ઘટાડો નોંધાયો છે. ભારત સરકાર દ્વારા કસ્ટમ ડ્યુટીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હોવાના કારણે સોનાની આયાતમાં ઘટાડો થયો હોવાનું વાણિજ્ય મંત્રાલયના આંકડાઓ પરથી જાણવા મળ્યું છે. આંકડા અનુસાર, ઓગસ્ટમાં સોનાની આયાત 57.75 ટકા ઘટીને 2.3 અબજ ડોલર રહી હતી.
સોનાની આયાતમાં ભારે ઘટાડાને કારણે દેશની વેપાર ખાધ પણ ઘટીને 5 મહિનાના સૌથી નીચા સ્તરે 26.86 અબજ ડોલર પહોંચી ગઈ હતી. જોકે, આ દરમિયાન ચાંદીની આયાતમાં 127 ટકાનો જોરદાર વધારો જોવા મળ્યો હતો. ઓગસ્ટ 2026માં ભારતની ચાંદીની આયાત 127 ટકા વધીને 1.02 અબજ ડોલર થઈ હતી.
ભારત સરકારે 13 મેથી કિંમતી ધાતુઓ પરની આયાત ડ્યુટી 6 ટકાથી વધારીને સીધી 15 ટકા કરી દીધી છે. ચાલુ નાણાકીય વર્ષ 2026-27માં એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન સોનાની આયાત 3.38 ટકા વધીને 17.47 અબજ ડોલર થઈ હતી, જ્યારે ચાંદીની આયાત 8.81 ટકા ઘટીને 1.74 અબજ ડોલર રહી હતી.
ઓગસ્ટ મહિનામાં ભારતે સૌથી વધુ સોનું સ્વિટ્ઝર્લેન્ડથી આયાત કર્યું હતું અને તે સોનાની આયાતનો સૌથી મોટો સ્ત્રોત રહ્યો હતો. ઓગસ્ટમાં ભારતની કુલ સોનાની આયાતમાં સ્વિટ્ઝર્લેન્ડનો હિસ્સો આશરે 40 ટકા રહ્યો હતો. ત્યારબાદ ભારતે કુલ સોનાની આયાતના 16 ટકાથી વધુ હિસ્સો સંયુક્ત આરબ અમીરાત (UAE) પાસેથી આયાત કર્યો હતો, જ્યારે આશરે 10 ટકા હિસ્સા સાથે દક્ષિણ આફ્રિકા ત્રીજા ક્રમે રહ્યું હતું.
દેશની કુલ આયાતમાં સોનાનો હિસ્સો 5 ટકાથી વધુ રહ્યો હતો. ઓગસ્ટમાં સ્વિટ્ઝર્લેન્ડથી થતી કુલ આયાત 45.4 ટકા ઘટીને 1.28 અબજ ડોલર રહી હતી.
