Last Modified: અમદાવાદ: , મંગળવાર, 22 ડિસેમ્બર 2015 (13:09 IST)
હાર્દીકે એક જામીન અરજી પાછી ખેંચી
પાસના આગેવાન હાર્દિક પટેલ સામે નોંધાયેલા રાજદ્રોહના કેસમાં તેના જામીન મેળવવા માટે વકીલ બાબુ માંગુકિયા અને રફિક લોખંડવાલા દ્વારા જામીન અરજી હાઈકોર્ટમાં કરાઈ હતી. આ મામલે વકીલ માંગુકીયાએ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. જ્યારે વકીલ લોખંડવાલાની અરજીમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર અને તપાસ એજન્સીને નોટિસ ફટકારીને વધુ સુનાવણી તા. પાંચમી જાન્યુઆરીના રોજ હાથ ધરાશે.
અમદાવાદની સેશન્સ કોર્ટે રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલના જામીન નામંજૂર કરાતાં ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. જો કે સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે આ એક જ કેસમાં બે વખત જામીન અરજી ફાઈલ કરવામાં આવી હતી. આ બંને અરજીઓ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જો કે હાર્દિકના વકીલ બાબુ માંગુકિયાએ હાર્દિકના જામીન માટે કરેલી જામીન અરજી પાછી ખેંચી લીધી હતી. જ્યારે હાર્દિક માટે અન્ય એક વકીલ રફીક લોખંડવાલાની જામીન અરજી અંગે આગામી તા. પાંચમી જાન્યુઆરી ર૦૧૬ના રોજ હાથ ધરવામાં આવશે. આ મામલે હાઈકોર્ટ દ્વારા સરકાર અને તપાસ સંસ્થાને નોટિસ પણ ફટકારવામાં આવી છે.
આ મામલે હાર્દિકના પિતાનું કહેવું છે કે વકીલ માંગુકિયાને જામીન અરજી કરવાનું અમે કહ્યું નથી. તેમ છતાં તેમણે આ અરજી ફાઈલ કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના રાજદ્રોહના કેસમાં હાર્દિકના જામીન મેળવવા માટે વકીલ માંગુકિયાએ તા. ૧૬ ડિસેમ્બરના રોજ હાઈકોર્ટમાં અરજી કરી હતી. જો કે તેના બીજા દિવસે વકીલ રફિક લોખંડવાલા તરફથી પણ હાર્દિકના જામીન માટે અરજી કરવામાં આવી હતી. હાર્દિકના પિતા ભરત પટેલે આ અગાઉ જ કહી દીધું હતું કે ૧૭મીએ વકીલ લોખંડવાલા મારફત જે અરજી કરાઈ છે તે અરજી જ હાઈકોર્ટમાં ચાલશે.