Last Modified: રવિવાર, 21 ફેબ્રુઆરી 2016 (16:37 IST)
23 ફેબ્રુઆરીએ હાર્દિક સાથીઓ સહિત બહાર આવી જશે - જેરામભાઈ પટેલનો દાવો
પાટીદાર અનામત આંદોલન સમેટી લેવા માટે સરકાર અને પાટીદારો વચ્ચે મંત્રણા ચાલુ છે ત્યારે રવિવારે એક મોટો ટ્વિસ્ટ આવી ગયો. પાટીદાર આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે મધ્યસ્થી કરી રહેલા જેરામભાઈ પટેલની એક ઑડિયો ક્લિપ વોટ્સએપ પર વાયરલ થઈ છે. જેમાં તેમણે હાર્દિક સાથે સમાધાન થઈ ગયું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. આ ક્લિપમાં જેરામભાઈ પટેલ એવું કહે છે કે, 23 ફેબ્રુઆરીએ હાર્દિકના સાથીઓ ચિરાગ, કેતન અને દિનેશ રાજદ્રોહના કેસમાં જામીન મેળવીને બહાર આવી જશે. એ પચી હાર્દિક પણ બહાર આવી જશે. હાર્દિકે જ પહેલાં ચિરાગ, કેતન અને દિનેશને છોડાવવા કહ્યું હતું. તે એવું કહેતા પણ સંભળાય છે કે સરકારે દોઢ મહિનામાં હાર્દિક સહિતના આગેવાનોને છોડી દેવા કહ્યું હતું અને ત્યાં સુધી હાર્દિકે કશું કરવું નહીં એવું સમાધાન થયું છે. તે એમ કહેતા પણ સંભળાય છે કે હાર્દિકના ખાવામાં કાંકરા ભેળવાય છે એસારૂં છે અને તેનો આપણને ફાયદો થશે, સરકારને દબાવવામાં ફાયદો થશે.
ઉલ્લેખનીય છે કે 17 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથેની મીટિંગ બાદ જેરામ પટેલે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે તેઓ હાર્દિકને સમજાવી લેશે. પાટીદાર આંદોલનકારીઓ અને સરકાર વચ્ચે મધ્યસ્થી કરી રહેલા જેરામભાઈ પટેલે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે મીટિંગ કરી પછી જેરામભાઈએ પાટીદાર અનામત આંદોલન સમેટવાના અણસાર આપી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમે હાર્દિકને સમજાવી લઈશું. આજે જેરામ પટેલની સાથે પાટીદાર આંદોલનકારી દિનેશ પટેલ, ચિરાગ પટેલ અને કેતન પટેલના પરિવારનાં લોકોએ પણ મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પછી જેરામ પટેલે આ વાત કરી હતી.
પાટીદારોના મધ્યસ્થી બનેલા સિદસરના ટ્રસ્ટી જેરામ પટેલની ઓડિયો ક્લિક સોશિયલ મીડિયામાં ફરતી થઈ છે. જેરામ પટેલે હાર્દિક સાથે સમાધાન થઈ ગયું હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. જેરામ પટેલે કહ્યું હતું કે 23 ફેબ્રુઆરીએ ચિરાગ પટેલ, દિનેશ પટેલ અને કેતન પટેલ જેલમુક્ત થશે. ત્રણેય પાટીદારો જેલમુક્ત થશે ત્યાર બાદ હાર્દિકને પણ જેલમુક્ત કરવામાં આવશે. સરકારે દોઢ મહિનામાં હાર્દિક સહિતના આગેવાનોને જેલમુક્ત કરશે અને ત્યાં સુધી હાર્દિકે કશું કરવું નહીં એવી સમજૂતી થઈ હતી.